ચંદ્રશેખર રાવ બીજી વખત બન્યા તેલંગણાના મુખ્યમંત્રી, લીધા શપથ
abpasmita.in | 13 Dec 2018 02:34 PM (IST)
હૈદરાબાદઃ તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં શાનદાર વિજય મેળવનારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિના વડા ચંદ્રશેખર રાવે બીજી વખત મુખ્યમંત્રીના શપથ લીધા હતા. તેલંગણાના રાજ્યપાલએ રાવને શપથ લેવડાવ્યા હતા. તેલંગણા રાજ્યની સ્થાપના બાદ સતત બીજી વખત ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી બન્યા હતા. કેસીઆરના નામથી જાણીતા ચંદ્રશેખર રાવે છ મહિના અગાઉ જ વિધાનસભા ભંગ કરી અન્ય રાજ્યોની સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય યોગ્ય સાબિત થયો. વાસ્તવમાં કેસીઆરનું માનવું હતું કે, લોકસભા ચૂંટણીની સાથે રાજ્યની ચૂંટણી થાય તો રાષ્ટ્રીય મુદ્દાઓ વધુ અસર કરશે જેને કારણે તેમને નુકસાન ઉઠાવવું પડી શકે તેમ હતું. જેને કારણે કેસીઆરએ સમય કરતા અગાઉ વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેલંગણામાં સાત ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં બે તૃતીયાંશ મતો મેળવી ફરીવાર સત્તા હાંસલ કરી છે. ટીઆરએસએ રાજ્યમાં 119 બેઠકોમાંથી 88 બેઠકો સાથે જીત હાંસલ કરી છે. તેલંગણામાં કુલ 2.80 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.