Lok Sabha Election Results 2024: PM નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) પહોંચીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત (PM Narendra Modi called on President Droupadi Murmu) કરીને પદેથી રાજીનામું આપ્યું હતું. હવે આગામી 8 જૂનના રોજ તેઓ ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે. હાલમાં એનડીએ ગઠબંધનની બેઠકો ચાલી રહી છે. હવે સંસદીય દળની બેઠક યોજાયા બાદ જ વડાપ્રધાન મોદી ફરી એકવાર શપથ લે તેવી શક્યતા છે.


નરેન્દ્ર મોદીએ બુધવારે (5 જૂન) પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું. રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમને કાર્યકારી વડાપ્રધાન તરીકે રહેવા કહ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચેની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેઓ રાજીનામું આપતા જોવા મળી રહ્યા છે. PM મોદીએ દિલ્હીમાં NDAની બેઠક પહેલા રાષ્ટ્રપતિ મુર્મુને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.


ભાજપને બહુમતી ન મળવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ


ભાજપના નેતૃત્વમાં એનડીએને 294 બેઠકો સાથે બહુમતી મળી છે. આવી સ્થિતિમાં એનડીએ સરકાર બનાવે તેવી પ્રબળ સંભાવના છે. ભાજપને એકલા હાથે બહુમતી મળી નથી. જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એનડીએના સાથી પક્ષો તેને છોડી શકે છે.


જો આવી સ્થિતિ સર્જાશે તો એનડીએ માટે ફરીથી સત્તામાં આવવું મુશ્કેલ બનશે. સૌથી વધુ ચર્ચા બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના ચીફ નીતિશ કુમાર અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુને લઈને થઈ રહી છે. જો કે બંને નેતાઓએ એનડીએ સાથે હોવાના સંકેત આપ્યા છે.






એનડીએની બેઠકમાં સરકાર રચવા પર ચર્ચા થશે


બુધવારે દિલ્હીમાં એનડીએની બેઠક યોજાઈ રહી છે, જેમાં તેના તમામ સહયોગી દળોના અગ્રણી નેતાઓ ભાગ લેવા પહોંચી રહ્યા છે. નીતિશ કુમાર પણ દિલ્હી પહોંચી ગયા છે. ચંદ્રાબાબુ નાયડુ પણ આવવાના છે. આ બેઠકમાં સરકારની રચના અને આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. ભાજપને સંપૂર્ણ વિશ્વાસ છે કે સરકાર બનશે. આ કારણોસર 7 જૂને સંસદભવનમાં NDAના તમામ સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે.


કેબિનેટની બેઠક બાદ લેવાયો લોકસભા ભંગ કરવાનો નિર્ણય


પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બેઠક સવારે 11.30 વાગ્યે શરૂ થઈ હતી, જેમાં ચૂંટણી પરિણામોની સમીક્ષા સાથે સરકારની રચનાની સંભવિત રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટે વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી છે. આ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા બાદ જ પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા.