અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. પાટીદાર આંદોલન પછી કોંગ્રેસને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ફાયદો થયો હતો. ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આઠ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે. જ્યારે ભાજપે છ પાટીદાર ઉમેદવારોને ટિકીટ આપી છે.


2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપે 5 પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસે માત્ર 4 ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે વધુ પાટીદારોને ટિકિટ આપી છે. એટલું જ નહીં પાટીદારોના યુવા નેતા હાર્દિક પટેલને પણ કોંગ્રેસમાં સામેલ કરી દીધા છે. તેમજ અમદાવાદ પૂર્વ બેઠક પર તો પાસના કન્વીનર ગીતાબેન પટેલને ટિકીટ પણ આપી છે.

આ ઉપરાંત મહેસાણામાં એ.જે. પટેલ, સુરતમાં અશોક અધેવાડા, વડોદરામાં પ્રશાંત પટેલ, ભાવનગરમાં મનહર પટેલ, અમરેલીમાં પરેશ ધાનાણી, રાજકોટમાં લલિત કગથરા અને પોરબંદરમાં લલિત વસોયાને ટિકીટ આપી છે.

ભાજપની વાત કરીએ તો, ભાજપે રાજકોટમાં મોહન કુંડારિયા, પોરબંદરમાં રમેશ ધડૂક, અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ, મહેસાણામાં શારદાબેન પટેલ, આણંદ મિતેષ પટેલ અને અમરેલીમાં નારાયણ કાછડિયાને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચોઃ
લોકસભા-પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર, જાણો કોની કોની વચ્ચે જામશે જંગ?
ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ લખ્યો બ્લોગ કહ્યું, 'મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને અંતમાં હું'