અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પર NCP કયા નેતાને મેદાનમાં ઉતારી શકે છે, નામ જાણીને ચોંકી જશો
abpasmita.in | 25 Mar 2019 11:17 AM (IST)
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી માટે ભાજપે ગાંધીનગર બેઠક પરથી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાનમાં ઉતાર્યાં છે. હાલ ગાંધીનગરમાંથી ભાજપનાં માર્ગદર્શક લાલ કૃષ્ણ અડવાણી સાંસદ છે. તો હવે ઉગ્ર ચર્ચાઓ તેવી પણ થઇ રહી છે કે એનસીપી ગાંધીનગર બેઠક પર પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાને મેદાનમાં ઉતારી શકે છે. સૂત્રો પ્રમાણે, ગુજરાત એનસીપીએ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજુઆત કરી છે કે, શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતારે. જ્યારે કોંગ્રેસનાં નેતા ડો. સી.જે. ચાવડા અમિત શાહ વિરૂદ્ધ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. શંકરસિંહે પોતાની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘથી શરૂ કરી હતી. હવે તેઓ શરદ પવારની એનસીપીમાં જોડાયા છે. તેમણે 1995માં ભાજપને સત્તા મળે તે માટે ઘણી મહેનત કરી હતી પરંતુ સત્તાનું સુકાન કેશુભાઇ પટેલને આપવામાં આવતાં બાપુએ બળવો કર્યો હતો. ત્યાર બાદ તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી મુખ્યમંત્રી બનીને ભાજપની સરકાર ઉથલાવી હતી. ત્યાર બાદ તેઓ 1998માં કોંગ્રેસમાં જોડાયા હતાં. બાપુનો પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા હાલ ભાજપમાં છે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો માટે યોજાનારી ચૂંટણી પૈકી રસપ્રદ ચૂંટણી જંગ ગાંધીનગર લોકસભા બેઠક પર રહેશે તેવું ઘણાં લોકો માની રહ્યાં છે. આ બેઠક પર સમગ્ર દેશની મીટ મંડાયેલી છે. આ બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણીમાં ઝૂકાવ્યું છે.