નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવનારી ટિપ્પણીને લઇને ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે માફી માંગી લીધી છે. ઠાકુરે કહ્યું કે, મારો અંગત મત છે. મારો ઇરાદો કોઇને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો મારા નિવેદનથી કોઇને ઠેસ પહોંચી છે તો હું માફી માંગું છું. ગાંધીજીએ દેશ માટે જે કાંઇ પણ કર્યું છે તેને ભૂલાવી શકાય નહીં. મારા નિવેદનને મીડિયાએ તોડી-મરોડીને રજૂ કર્યું છે.


ગોડસે પર આપેલા નિવેદનને લઇને ભાજપે સાધ્વી પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું અને સાર્વજનિક રીતે માફી માંગવા કહ્યુ હતું. સાધ્વી ઠાકુરના નિવેદનને લઇને વિપક્ષ ભાજપની ટીકા કરી રહ્યું છે. પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા સાધ્વી ઠાકુરે કહ્યું કે, હું રોડ શોમાં હતી. ભગવા આતંકને જોડીને મને સવાલ કરવામાં આવ્યો હતો. મે તરત ચાલતા ચાલતા જવાબ આપ્યો હતો. મારી ભાવના કોઇને નુકસાન પહોંચાડવાની નથી. કોઇની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું માફી માંગું છું. ગાંધીજીએ દેશ માટે જે કાંઇ કર્યું છે તેને ભૂલાવી શકાય નહીં. હું તેમનું સન્માન કરું છું. હું પાર્ટીના અનુશાસન માનનારી કાર્યકર્તા છું. જે પાર્ટીની લાઇન છે તે મારી લાઇન છે.