અમેઠી: કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર અમેઠીની બે દિવસીય મુલાકાત પર છે. અહીં રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકારે જે અચ્છે દિનનું વચન આપ્યું હતું તેનું શું થયું. રાફેલ ડિલને લઇને પ્રહાર કરતા કહ્યું કે મોદી સરકારે સીબીઆઇના વડાને હટાવવાની ઉતાવળ શા માટે હતી ? . તેની વચ્ચે પીએમ મોદી પર ખોટું બોલવાનો અને અમેઠીમાં બનનારો ફૂડ પાર્ક પ્રોજેક્ટને રોકી રાખવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.


ખેડૂતોના દેવામાફીની વાત કરતા તેઓએ કહ્યું કે, “અમે લોન માફીનું વચન આપ્યું હતું જે પૂર્ણ કર્યું. હું નરેન્દ્ર મોદીની જેમ ખોટું નથી બોલતો.” રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે અમેઠીની જનતાને ફૂડ પાર્ક બનાવવાનું વચન આપ્યું છે તે પ્રોજેક્ટને પીએમ મોદીએ રોકી રાખ્યો છે. તેઓ આ પાર્ક બનાવવાના વચનને 101 ટકા પૂર્ણ કરશે.

રાહુલે પૂર્વ સીબીઆઈ ચીફને હટાવવા પર કહ્યું કે જ્યારે સીબીઆઈ રાફેલ ડીલની તપાસ કરવાની હતી ત્યારે ડાયરેક્ટરને અડધી રાતે 1.30 વાગ્યે પદ પરથી હટાવી દેવાયા. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ખોટું છે, તેમને ફરી પદ સોંપવું જોઈએ. તેમને ફરી પદ સોંપાયું પરંતુ બે કલાકમાં નોટીસ આપી દીધી કે એક મીટિંગ થશે બાદમાં તેમને હટાવવામાં આવશે.