નવી દિલ્હીઃ બંધ થઈ ચૂકેલી એરલાઇન જેટ એરવેઝ ફરીથી શરૂ કરવાની દિશામાં કંપનીના કર્મચારીઓ કામ પર લાગ્યા છે. જેટના કર્મચારીઓએ બહારના રોકાણકારો પાસેથી 3 હજાર કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું હતું. એરલાઇન કર્મચારીઓના એક જૂથે એસબીઆઇને પત્ર લખીને કર્મચારીઓ અને બહારના રોકાણકારોના સંઘને કંપનીનું મેનેજમેન્ટ નિયંત્રણમા લેવા માટે બોલી લગાવવાની મંજૂરી માંગી છે.


સોસાયટી ફોર વેલફેર ઓફ ઇન્ડિયન પાઇલટ્સ અને જેટ એરક્રાફ્ટ મેઇન્ટનેન્ટ એન્જિનિયર્સ વેલફેર અસોસિયેશનના સંઘે આ પ્રસ્તાવ મોકલ્યો છે. સંઘે દાવો કર્યો હતો કે કર્મચારી પોતાના ભવિષ્યની કમાણીને એરલાઇનમાં લગાવશે અને ઉત્પાદકતા વધારશે.

એસબીઆઇના ચેરમેનને લખેલા સંયુક્ત પત્રમાં કહ્યું હતું કે, અમારા પ્રાથમિક અંદાજ અનુસાર, એમ્પ્લોય સ્ટોક ઓનર્સ પ્રોગ્રામમાં કર્મચારી જૂથોનું યોગદાન 4000 કરોડ રૂપિયાથી વધુ હોઇ શકે છે. તેમણે કહ્યું કે, વિવિધ કર્મચારી જૂથોની સાથે વ્યાપક ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે એ સહયોગીઓ સાથે પણ સલાહ સૂચનો કરવામાં આવી છે જે ભૂતકાળમાં મેનેજમેન્ટમાં વિવિધ વરિષ્ઠ પોસ્ટ પર રહ્યા છે.

પત્રમાં કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે એરલાઇન સાથે વારસામાં મળેલા મુદ્દા સામેલ છે જેમાં ઓપરેશનનો ઉંચો ઓપરેટિંગ ખર્ચ, કર્મચારીઓની જરૂરત કરતા વધુ સંખ્યા, પ્રતિકુળ વેન્ડર, લીઝ કરાર અને પ્રતિકુળ લોન ઇક્વિટી ગુણોતર સામેલ છે.  જેટ એરવેઝના લોનદાતા એસબીઆઇની આગેવાનીમાં હાલમાં એરલાઇનમાં પોતાની હિસ્સેદારી વેચવા માટે બોલી લગાવી રહ્યા છે જેથી એરલાઇનને આપેલા 8400 કરોડ રૂપિયાની લોન વસૂલવામાં આવી શકે. એસબીઆઇની મર્ચન્ટ બેન્કિંગ એકમ એસબીઆઇ કેપ્સ એપ્રિલના અંત સુધી રજીસ્ટર રોકાણકારોના પ્રસ્તાવને શોર્ટલિસ્ટ કરશે.