Lok sabha Election 2024:લોકસભા ચૂંટણીના પરિણામો અને વલણો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભાજપ લગભગ 241 બેઠકો સુધી સીમિત જણાય છે. જો કે તેમના નેતૃત્વમાં એનડીએને 292 સીટો પર જીત અથવા લીડ છે. છેલ્લી 2019 અને 2014ની ચૂંટણીમાં ભાજપને પોતાના દમ પર બહુમતી મળી અને નરેન્દ્ર મોદી મજબૂત સરકારના નેતા તરીકે ઉભરી આવ્યા.


પરંતુ, આ ચૂંટણીના પરિણામોએ ભાજપનું આખું ગણિત બગાડી નાખ્યું છે. એનડીએને બહુમતી મળી હોવા છતાં, તેના ઘટક પીએમ મોદીના નેતૃત્વમાં સહજ  ન હોવાનો ઇતિહાસ છે. આમાં સૌથી પહેલું નામ બિહારના સીએમ અને જેડીયુ નેતા નીતિશ કુમારનું છે.


મોદી સાથેની તસવીરને લઈને નીતિશ ગુસ્સામાં હતા


નીતિશ કુમાર વાજપેયી-અડવાણી યુગથી એનડીએનો હિસ્સો હોવા છતાં, તેઓ ક્યારેય પીએમ મોદી સાથે સહજ  રહ્યા નથી. 2009 ની વાત છે, જ્યારે પંજાબના જલંધરમાં ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર હાથ ઉંચો કરતા નીતિશ કુમારની તસવીર મીડિયામાં આવી, ત્યારે નીતીશ કુમાર આવી સામાન્ય વાત પર ગુસ્સે થઈ ગયા. તે સમયે બિહારમાં કોસી નદીમાં ભયંકર પૂર આવ્યું હતું અને તે પૂરમાં બચાવ અને રાહત કાર્ય માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાં નાણાં મોકલ્યા હતા. નીતીશ મોદી સાથેની પોતાની તસવીર જાહેર કરવાથી એટલા ગુસ્સે થયા કે તેમણે પૈસા પરત કરી દીધા હતા.


નીતિશ કોઈ મોટી  ડીલ કરશે?


નિશ્ચિતપણે કહી શકાય કે આ વખતે સીએમ નીતિશની પાર્ટી મોદી કેબિનેટમાં મંત્રાલયો માટે વધુ સોદાબાજી કરવાની સ્થિતિમાં હશે. બીજી તરફ, બિહારમાં ઓછા ધારાસભ્યો હોવા છતાં મુખ્યમંત્રી પદ સંભાળનાર નીતીશ કુમાર રાજ્ય ભાજપ નેતૃત્વને તેમના પર વર્ચસ્વ જમાવતા રોકવામાં સફળ રહેશે. જેડીયુ, એનડીએમાં હોવા છતાં, 2019ની ચૂંટણીમાં 'યોગ્ય' પ્રતિનિધિત્વ ન મળવાને કારણે મોદી સરકારમાં જોડાઈ ન હતી.


એકંદરે એમ કહી શકાય કે અત્યારે ભાજપ 241 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી છે અને તેના નેતા નરેન્દ્ર મોદી છે. લોકપ્રિયતાના સંદર્ભમાં તેમની સાથે સ્પર્ધા કરવા માટે બીજો કોઈ નેતા દેખાતો નથી, ન તો ભાજપમાં અને ન તો એનડીએમાં.


જે લોકો એવું વિચારે છે કે, ભાજપની 241 સીટો ઓછી છે તો તેમને ખબર હોવી જોઈએ કે આ દેશમાં 1991માં સ્વર્ગસ્થ નરસિમ્હા રાવની સરકાર બની હતી, જે લઘુમતી સરકાર હતી પરંતુ તે પાંચ વર્ષ સુધી ચાલી હતી. તેની પાછળ નરસિમ્હા રાવની વ્યૂહરચના હતી. તેમને ક્યારેય વિપક્ષના જોરદાર વિરોધનો સામનો કરવો પડ્યો નથી. ઉપરાંત, અટલ-અડવાણીના નેતૃત્વમાં ભાજપ પાસે વૈકલ્પિક સરકાર આપવાનો કોઈ રસ્તો નહોતો. રાજીવ ગાંધીની હત્યા બાદ કોંગ્રેસને 232 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 120 અને જનતા દળને 59 બેઠકો મળી હતી. આમ છતાં નરસિમ્હા રાવની સરકાર પાંચ વર્ષ સુધી ચાલી હતી.