મુંબઈઃ ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લાં દોઢ વર્ષથી દયાભાભી જોવા મળતાં નથી. દયાભાભી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પૂર્ણ થયા બાદ સીરિયલમાં ફરી જોવા મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચ 18 જુલાઈના રોજ છે. એટલે માનવામાં આવ્યા છે કે જુલાઈ અંત સુધીમાં દયાભાભી શોમાં ફરી જોવા મળશે.

જુલાઈ અંત સુધી સીરિયલમાં દયાભાભીનું પાત્ર જોવા મળશે પરંતુ આ રોલ દિશા વાકાણી કરશે કે કોઈ નવી જ એક્ટ્રેસ આવશે તે હજી નક્કી નથી. જોકે માનવામાં આવી રહ્યું છે કે, દયાભાભીના રોલમાં દિશા વાકાણી જ પરત સીરિયલમાં એન્ટ્રી કરશે.

દિશાએ 2017માં ઓક્ટોબરમાં છ મહિનાની મેટરનિટી લિવ લીધી હતી. જોકે છ મહિના બાદ પણ દિશા સીરિયલમાં પરત ફરી નહતી. દિશા દીકરી સ્તુતિનાં ઉછેર પર ધ્યાન આપવા માગતી હોવાથી તે સીરિયલમાં પરત ફરી નહોતી. એપ્રિલ, 2019માં સિરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ દયાભાભીના રોલમાં નવી એક્ટ્રેસ આવશે અને તેના ઓડિશન શરૂ થઈ ગયા હોવાની જાહેરાત કરી હતી.

થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે, દિશા વાકાણીએ અસિત મોદીના પ્રોડક્શન હાઉસ નીલા ટેલિફિલ્મ્સમાં સંપર્ક કર્યો હતો અને સીરિયલમાં પરત ફરવા અંગે વાત કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે, સીરિયલમાં દિશા વાકાણી પરત આવે છે કે નહીં?