મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં આશરે 28 લોકોના નિવેદન નોંધવામાં આવી ચુક્યા છે, જેના આધારે કેસ ઉકેલવાની કોશિશ થઈ રહી છે. તાજેતરમાં તેની અંતિમ કો સ્ટાર રહેલી સંજના સાંઘીનું પોલીસે નિવેદન નોંધ્યું છે. તેના નિવેદન સાથે સંકળાયેલી કેટલીક જાણકારી સામે આવી છે, જે હેરાન કરનારી છે.


2018માં જે સમયે મી ટૂ મૂવમેન્ટ ટોચ પર હતી તે સમયે સંજના તરફથી સુશાંત સિંહ રાજપૂત પર અયોગ્ય રીતે સ્પર્શવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના કારણે સુશાંતે અનેક મીડિયા ટ્રાયલ્સનો સામનો કરવો પડ્યો હતો. જોકે બાદમાં સંજનાએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, તેના દ્વારા આવો કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી પરંતુ કોઈ દ્વારા ફેલાવવામાં આવેલી અફવા છે.

હવે સંજનાએ પોલીસને આ આરોપો સાથે સંકળાયેલી માહિતી આપી છે. રિપોર્ટ્સ પ્રમાણે, તેણે જણાવ્યું કે જે સમયે મીટૂનો આરોપ સુશાંત પર લાગ્યો તે દરમિયાન ભારતમાં નહોતી. હું મારા પરિવાર સાથે યૂએસ પ્રવાસ પર હતી અને આ અંગે મને કોઈ જાણકારી નથી. સંજનાએ એમ પણ કહ્યું કે, ભારત પરત આવીને તરત જ આરોપોનું ખંડન કર્યુ હતું.

સંજનાએ પોલીસને જણાવ્યું કે, જ્યાં સુધી તે પરત આવી ત્યાં સુધીમાં સુશાંત ઘણી પરેશાનીનો સામનો કરી ચુક્યો હતો. સંજનાએ કહ્યું, તે વધારે કંઈ બોલતો નહોતો. જોકે, ધીમે ધીમે તે નોર્મલ થવા લાગ્યો હતો અને બાદમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન મારી ઘણી મદદ કરી હતી.

14 જૂને સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી દુઃખી સંજનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો હતો અને રડતા રડતા સુશાંતના જતા રહેલા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. તેને એક સારા વ્યક્તિની સાથે શાનદાર કલાકાર પણ ગણાવ્યો હતો.