નવી દિલ્હીઃ એક્ટર અક્ષય કુમાર અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં અનેક સામાજિક મુદ્દા પર બનેલી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. અક્ષયની આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે. કેટલીક ફિલ્મોમાં કેન્દ્ર સરકારની મહત્ત્વપૂર્ણ યોજનાઓના મેસેજ પણ આપવામાં આવ્યા છે. આવી ફિલ્મો બાદ અક્ષય કુમારનું નામ ભાજપ સાથે જોડવામાં આવ્યું છે અને કહેવાય છે કે, તે ટૂંકમાં જ રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે.




અક્ષય કુમાર લોકસભાની ચૂંટણી લડશે એવી ખબરો સામે આવી છે. જોકે હવે આ બધી અટકળો પર અક્ષય કુમારે જાતે ફુલસ્ટોપ લગાવ્યો છે. અહેવાલ અનુસાર અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘જે મેસેજ હું આપણા સમાજને આપવા માંગુ છે અને જે હું કરવા માંગુ છું. તે બધુ હું ફિલ્મોમાં કામ કરીને ઘણી સારી રીતે કરી રહ્યો છું. મને નથી લાગતું કે રાજનીતિમાં આવ્યા બાદ આટલી સરસ રીતે હું આ બધા કામ કરી શકીશ.’



ઉપરાંત અક્ષય કુમારે કહ્યું કે, ‘જ્યારે મે ટોયલેટ એક પ્રેમ કથા કરી ત્યાર બાદ મે ઘણા પરિવર્તન જોયા. પેડમેન બાદ લોકોને સેનેટરી પર વાત કરતા પબ્લિક પ્લેસ પર જોયા. હવે આ મોટા શહેરોમાં ટેબૂ નથી. સિનેમાનો પાવર સમાજ પર જોવો અદ્ભુત છે.’ વધુમાં અક્ષય જણાવે છે કે, ‘જ્યારે મે એરલિફ્ટ કરી હતી એ પહેલા કેટલાક લોકોને દેશના આ પરાક્રમ વિશે ખબર નહોતી. ગિનિસ બુકમાં આપણું નામ હતું એ વિશે પણ જાણ નહોતી. લોકો હોલીવૂડની ‘300’ ફિલ્મને જાણે છે પરંતુ આપણા દેશના બહાદુર જવાનો વિશે જાણતા નથી.’