મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયાબેનની વાપસીને લઈને સસ્પેન્સ યથાવત્ છે. આ રોલ ભજવતી એક્ટ્રેસ દિશા વાકાણી દીકરીને જન્મ આપ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી શોમાંથી ગાયબ થઈ ગઈ છે. ત્યારે હવે તે પરત ફરશે તેવી કોઈ પણ શક્યતાને ન જોતાં શોના પ્રોડ્યૂસર ઓનલાઈન વોટિંગ દ્વારા દર્શકોનો મત જાણશે કે તેઓ દયાબેન તરીકે કોને જોવા માગે છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના પ્રોડ્યૂસર અસિત મોદીએ એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અત્યારે દયાબેન વિશે બોલવું થોડું અઘરું છે. આ એક પ્રક્રિયા છે. હું ઓનલાઈન દર્શકો પાસેથી મત માગીશ કે તેઓ દયાબેનના રોલમાં કોને જોવા માગે છે.

અસિત મોદીએ કહ્યું હતું કે, અમે જે પણ નિર્ણય લઈશું તેને દર્શકો પસંદ કરશે. જોકે આ માટે થોડો ટાઈમ છે. હજુ થોડા એપિસોડ દયાબેન વગર બતાવવા પડશે. જો કે હું એટલું ચોક્કસ કહીશ કે દયાભાભી શોમાં જરૂર પરત ફરશે.

અસિત મોદીએ વાતચીતમાં કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અમે જે પણ નિર્ણય લઈશું તેના પર દર્શકો વિશ્વાસ કરશે. જોકે હજુ કંઈ નક્કી થયું નથી. પરંતુ શક્યતા કંઈ પણ હોય શકે છે. અમને સારા આર્ટિસ્ટ જોઈએ છે. દયા ભાભી સીરિયલની અભિનેત્રી છે. જો તે પરત ફરશે તો સોનામાં સુગંધ ભળશે.

દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીએ કહ્યું હતું કે, હું તેમને પણ રિક્વેસ્ટ કરું છું કે તે શોમાં પરત ફરે. અમારા દર્શકો પણ એમ જ ઈચ્છે છે. આ શો અમારો નહીં દર્શકોનો છે. અમારે આશા રાખવી જોઈએ પરંતુ જો તે પરત ફરવા નથી માગતા તો શો મોટો છે. શો કોઈના માટે રોકાતો નથી.