નવી દિલ્હી: કાળીયાર શિકાર કેસમાં સલમાન ખાન શનિવારે કોર્ટમાં હાજર રહ્યો નહોતો. જોધપુરની જિલ્લા કોર્ટે આગામી સુનાવણી માટે 6 ફેબ્રુઆરીએ રાખી છે. સલમાન ખાને ખુદ પોતાના તરફથી કોર્ટમાં અપીલ કરી હતી, જેના પર સુનાવણી થવાની હતી. પરંતુ સલમાન ખાન કોર્ટમાં પહોંચ્યો નહોતો.


સલમાન ખાને પોતાના વકીલ હસ્તીમલ સારસ્વત મારફતે પોતે કોર્ટમાં હાજર ન થવાની છૂંટ માંગી હતી. વકીલે કહ્યું કે, કોર્ટમાં અમે સલમાન ખાન તરફથી પ્રાર્થના પત્ર દાખલ કર્યું હતું.

આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના સંકટના કારણે સલમાન ખાન માટે મુસાફરી કરવું અને અંગત રીતે કોર્ટમાં હાજર થવું રિસ્કી હોઈ શકે છે. સાથે સલમાને કહ્યું કે, કોર્ટ જ્યારે પણ તેને વ્યક્તિગત રીતે હાજર થવા કેશે તે હાજર રહેશે. આ પહેલા આ મામલે સુનાવણી કરતા કોર્ટે તેને હાજર થવા કહ્યું હતું.

વાસ્તવમાં સલમાન ખાનને ટ્રાયલ કોર્ટમાં તેને આપવામાં આવેલી પાંચ વર્ષની કેદની સજાને સેશન કોર્ટમાં પડકારી છે. ઉલ્લેખનીય છે કે, 5 એપ્રિલ, 2018ના રોજ આપેલા પોતાના ચુકાદામાં સીજેએમ કોર્ટે સલમાન ખાનને લુપ્ત પ્રજાતિના બે કાળીયારના શિકાર કરવા મામલે પાંચ વર્ષની સજા સંભળાવી હતી.