મુંબઈ: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર, જેમણે હાલમાં જ પોતાના બંને ભાઈને કોરોના વાયરસના સંક્રમણના કારણે ગુમાવ્યા છે. અભિનેતા દિલીપ કુમારને બંને ભાઈઓના નિધનના સમાચાર નથી આપવામાં આવ્યા, તેમના પત્ની સાયરા બાનોએ અંગ્રેજી સમાચાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે.


દિલીપ કુમારના ભાઈ 90 વર્ષના અહેસાન ખાન અને 88 વર્ષના અસલમ ખાન બંને કોરોના વાયરસ પોઝિટિવ હતા, જેમણે સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં બંને ભાઈના મોત થયા હતા. સાયરા બાનોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું, દિલીપ સાહેબને આ જાણકારી નથી આપવામાં આવી કે અસલમ ભાી અને એહસાન ભાઈ હવે આ દુનિયમાં નથી રહ્યા. અમે દરેક પ્રકારના પરેશાન કરતા સમાચાર તેમનાથી દૂર રાખીએ છીએ.



તેમણે કહ્યું, જ્યારે અમિતાભ બચ્ચન COVID-19 પોઝિટિવ આવ્યા અને તેમને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યારે પણ અમે તેમને નથી જણાવ્યું. તેમના મુજબ દિલીપ કુમાર અમિતાભ બચ્ચનને ખૂબ જ પસંદ કરે છે.

97 વર્ષીય અભિનેતાના સ્વાસ્થ્ય પર અપડેટ આપતા સાયરા બાનોએ કહ્યું, 'તેઓ સ્વસ્થ છે. તેમને ક્વોરન્ટાઈનમાં રાખવા અમારી પ્રથમ પ્રાથમિક્તા છે, પરંતુ હાલમાં જ ડિહાઈડ્રેશનના કારણે તેમના બ્લડ પ્રેશરમાં કેટલાક બદલાવ થયા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.'

ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે તેમના ભાઈ અસલમ ખાનનું નિધન થયું હતું. જ્યારે 21 ઓગસ્ટે અહસાન ખાનનું પણ નિધન થયું હતું. કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 68,472 લોકો કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.