નવી દિલ્હીઃ દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ  સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું.  આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે. જેને લઈ કમાલ આર ખાને રિએકશન આપ્યું છે.ૉ




કમાલ આર ખાને મોદીના લોકડાઉન વધારવામાં આવ્યુ હોવાની જાહેરાત બાદ કરેલું ટ્વિટ થોડા જ કલાકમાં વાયરલ થયું છે. તેમે ટ્વિટમાં લોકડાઉન વધારવાને લઈ ગરીબો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે.

ઉપરાંત પીએમને પણ સવાલ કર્યો કે, પ્રધાનમંત્રી મોદીએ 3 મે સુધી લોકડાઉન વધાર્યુ છે, જે સારું છે પરંતુ જે લોકો લોકડાઉન દરમિયાન ક્યાંય ફસાયા છે તેઓ પૈસા વગર કેવી રીતે જીવતા રહેશે તેને લઈ કંઈ બોલ્યા નથી. તેણે આગળ લખ્યું, આવા લોકોને ઘરે જવાની મંજૂરી આપવી જોઈએ, નહીંતર ઘણા લોકો ભૂખ્યા મરી જશે. કમાલ આર ખાન અવારનવાર સામાજિક મુદ્દા પર ટ્વિટ દ્વારા પોતાનો અભિપ્રાય આપીને ચર્ચામાં રહે છે.