રાજકપૂરનો RK સ્ટુડિયો બની જશે ભૂતકાળ, આ ડરથી પરિવારે લીધો વેચવાનો નિર્ણય
મુંબઈઃ બોલિવૂડમાં શો મેન તરીકે ઓળખાતા રાજકપૂરના 70 વર્ષ જૂના આર.કે. સ્ટુડિયને વેચવાની કવાયત હવે શરૂ થઈ ગઈ છે. મુંબઈના ચેમ્બુર સ્થિત આ સ્ટુડિયોને કપૂર પરિવારે વેચવાનો નિર્ણય લઈ લીધો છે. છેલ્લા ઘણા સમયથી આ સ્ટુડિયોમાં કોઈ કામ થતું નહોતું અને અઢળક ખર્ચ પછી પણ લોકો શૂટિંગ માટે ભાડા પર લેતા ન હોવાથી તથા ભવિષ્યમાં પરિવારજનો વચ્ચે પ્રોપર્ટીને લઈ કાનૂની જંગ ન થાય તે ડરથી કપૂર પરિવારે આવો નિર્ણય કર્યો છે.
શો મેન રાજકપૂરે તેની મોટાભાગની ફિલ્મોનું નિર્માણ આ સ્ટુડિયોમાં કર્યું હતું. આગ, બરસાત, આવારા, શ્રી 420, સંગમ, મેરા નામ જોકર, બોબી, રામ તેરી ગંગા મૈલી જેવી અનેક શ્રેષ્ઠ ફિલ્મો આ સ્ટુડિયોમાં બની હતી.
આર.કે.સ્ટુડિયો વેચવાનો ફેંસલો કપૂર પરિવાર માટે સરળ નહોતો. મુંબઈ મિરરના અહેવાલ મુજબ રાજકપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂર, ત્રણેય પુત્રો રણધીર, ઋષિ અને રાજીવ તથા બંને દીકરીઓ રિતુ નંદા અને રીમા જૈને મળીને તેને વેચવાનો નિર્ણય લીધો છે. ઋષિ કપૂરે કહ્યું કે, તેને વેચવાનો ફેંસલો કરવો અમારા માટે સરળ નહોતો. અમે અમારા દિલ પર પથ્થર રાખી, સમજી-વિચારીને નિર્ણય લીધો છે. એક વખત અમે સ્ટુડિયોન રિનોવેટ પણ કરાવ્યો હતો પરંતુ દરેક વખતે આમ થઈ શકે નહીં. અમે તમામ આ વાતને લઈ દુઃખી છીએ.
કપૂર પરિવાર આ પ્રોપર્ટી વેચવા માટે બિલ્ડર્સ, કોર્પોરેટ્સ અને ડેવલપર્સના સંપર્કમાં છે અને શક્ય તેટલો વહેલો તેને વેચવાની તૈયારી થઈ રહી છે. ગત વર્ષે આ સ્ટુડિયોમાં આગ લાગી હતી અને તેના કારણે સ્ટુડિયોની ઘણી પ્રોપર્ટીને નુકસાન પહોંચ્યું હતું.
આ સ્ટુડિયો આશરે 2 એકર જમીન પર બનાવવામાં આવ્યો છે અને રાજકપૂરે તેમની મોટાભાગની ફિલ્મોનું શૂટિંગ અહીંયા કર્યું હતું. આર.કે. સ્ટુડિયો ન ચાલવાનું એક કારણ એવું પણ છે કે તે મુંબઈના એવા વિસ્તારમાં આવેલો છે, જ્યાં હવે શૂટિંગ ઘણું ઓછું થાય છે. આ ઉપરાંત સ્ટુડિયોથી છેલ્લા ઘણા સમયથી ખાસ આવક પણ થતી નહોતી.