Actor Govinda: બોલિવૂડ એક્ટર ગોવિંદા સાથે ગયા મંગળવારે એક મોટી અકસ્માત થયો હતો. પોતાની રિવોલ્વર સાફ કરતી વખતે અભિનેતાને તેના પગમાં ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક મુંબઈની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમના પગમાંથી એક ગોળી બહાર કાઢવામાં આવી હતી. ડોક્ટરોની દેખરેખમાં હોસ્પિટલમાં 3 દિવસ બાદ ગોવિંદાને રજા આપવામાં આવી છે. તેઓ 6 અઠવાડિયા સુધી બેડ રેસ્ટ પર રહેશે.






ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી


ગોવિંદા હોસ્પિટલની બહાર વ્હીલચેરમાં જોવા મળ્યો હતો. તેમણે સૌનો આભાર માન્યો હતો. અભિનેતા સાથે પુત્રી ટીના અને પત્ની સુનીતા પણ જોવા મળ્યા હતા. ગોવિંદાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું - જ્યાં પણ પૂજા થઈ, દુઆ માંગવામાં આવી... હું દરેકનો આભાર માનું છું. હું પ્રશાસન સાથે જોડાયેલા પોલીસ જવાનો અને મુખ્યમંત્રી શિંદેનો આભાર માનું છું. દરેકનો આભાર. તમારા લોકોના કારણે હું સુરક્ષિત છું. જય માતાજી.






અભિનેતા સાથે તેનો પરિવાર પણ જોવા મળ્યો હતો. પત્ની સુનીતા આહુજા મુશ્કેલ સમયમાં પડછાયાની જેમ તેમની સાથે રહી હતી. પુત્રી ટીના આહુજાએ ઉજ્જૈનના મહાકાલમાં તેના પિતા માટે અનુષ્ઠાન કરાવ્યા હતા. 51 પંડિતોએ સાથે મળીને મહામૃત્યુંજયનો જાપ કર્યો હતો.


ગોવિંદાને ગોળી કેવી રીતે લાગી?


આ ઘટના મંગળવારે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. ગોવિંદા કોલકાતા જઈ રહ્યા હતા. ઘરમાંથી બહાર નીકળતા અગાઉ અભિનેતા તેની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાંથી બંદૂક સરકીને નીચે પડી ગઈ હતી. આ દરમિયાન ગોળીબાર થયો હતો અને એક ગોળી અભિનેતાના પગમાં વાગી હતી. રિવોલ્વરમાં 6 ગોળીઓ ભરેલી હોવાનું જાણવા મળે છે. ઘરમાં હાજર લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળ્યો કે તરત જ તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા.


ઘટના સમયે પત્ની સુનીતા ઘરે હાજર ન હતી. તે કોલકાતામાં હતી. મુશ્કેલ સમયમાં ગોવિંદાના પરિવારના સભ્યો તેને હોસ્પિટલમાં મળવા આવ્યા હતા. કાશ્મીરા શાહ, આરતી સિંહ, ગોવિંદાના ભત્રીજા અને ભાઈ તરત જ તેની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા. વિદેશમાં હોવાને કારણે કૃષ્ણા અભિષેક તેના મામાને મળવા હોસ્પિટલ જઈ શક્યો ન હતો.


રિવોલ્વર કેસમાં પોલીસે શું કહ્યું?


આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ડીસીપી દીક્ષિત ગેદામના જણાવ્યા અનુસાર આ મામલો માત્ર અકસ્માત છે. તેને કોઈ કાવતરું કે ગરબડ દેખાઇ નથી. તેથી હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પોલીસે આ કેસને પોતાની ડાયરીમાં માત્ર એક ઘટના તરીકે નોંધ્યો છે. પોલીસે તેના પરિવારજનોના નિવેદન નોંધ્યા છે. પરંતુ હજુ સુધી ગોવિંદાનું નિવેદન નોંધવામાં આવ્યું નથી.