મુંબઈ: દિગ્ગજ અભિનેતા શ્રીરામ લાગુનું લાંબી બિમારી બાદ 92 વર્ષની વયે મંગળવારે પૂણેમાં નિધન થયું હતું. તેમનું અંતિમ સંસ્કાર ગુરુવારે કરવામાં આવશે. શ્રીરામ લાગુનો જન્મ 16 નવેમ્બર 1927માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. શ્રીરામ લાગુ માત્ર બોલિવૂડ ફિલ્મમાં જ નહી પણ મરાઠી ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. ખાસ વાત એ છે કે તેમની એક્ટિંગની ફિલ્મોમાં જેટલી  પ્રશંસા થઈ એના કરતા વધારે થિયેટરના વિકાસમાં તેમના યોગદાનને લઈને પ્રશંસા થતી હતી.તેમના નિધન પર એનસીપી પ્રમુખ શરદ પવાર, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને નિતિન ગડકરીએ દુખ વ્યક્ત કર્યું હતું.


શ્રીરામ લાગુ અમિતાભ બચ્ચની ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં નજર આવ્યા હતા. તે સિવાય તેમણે હેરા ફેરી, ઘરોન્દા, મંજિલ, થોડી સી બેવફાઈ, લાવારિસ, શ્રીમાન શ્રીમતી, વિધાતા, સદમા અને ઇન્સાફી કી પુકાર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જાવડેકરે ટ્વિટ કરીને કહ્યું, “મહાન કલાકાર શ્રીરામ લાગુને મારી શ્રદ્ધાંજલિ. આપણે એક બહુમુખી વ્યક્તિત્વને ગુમાવી દીધા છે. અદ્વિતિય થિએટર અભિનેતાએ સિલ્વર સ્ક્રિન પર પોતાનો દબદબો બનાવ્યો અને પ્રભાવ પાડ્યો હતો. તેઓ એક સામાજિક કાર્યકર્તા પણ હતા.”


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ શ્રીરામ લાગૂને ‘નટસમ્રાટ’ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘મરાઠી રંગમંચ’ એ પોતાના પ્યારા નટસમ્રાટને ગુમાવી દીધા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજીત પવારે કહ્યું કે લાગૂના નિધનના સમાચાર દુ:ખદ છે.


શ્રીરામ લાગુને 1978માં ફિલ્મ ‘ઘરોન્દા’ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. લાગુ પ્રસિદ્ધ નાટક નટ સમ્રાટના પ્રથમ હીરો હતા. આ નાટકને પ્રસિદ્ધ લેખક કુસુમાગ્રએ લખ્યું હતું. જેમાં તેમના અભિનયને આજે પણ યાદ કરવામાં આવે છે.