સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મનું બોક્સ ઓફિસ પર પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે અને આ નિષ્ફળતાએ અક્ષય કુમારને હચમચાવી દીધો છે. સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના ડાયરેક્ટર ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીને ટાંકીને મીડિયામાં આવી રહેલા સમાચારો મુજબ, અક્ષય ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના પ્રયોગો નહીં કરે. આ સાથે જ અક્ષય ફરી એકવાર મસાલા ફિલ્મો તરફ વળશે. દ્વિવેદીએ કહ્યું કે, અક્ષયે ફિલ્મના શૂટિંગ દરમિયાન કહ્યું હતું કે જો પૃથ્વીરાજ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ નહીં કરી શકે અથવા દર્શકોને તે પસંદ નહીં આવે તો તે ફરીથી રાઉડી રાઠોડ અને હાઉસ ફુલ જેવી ફિલ્મો તરફ વળશે અને પ્રયોગ કરવાનું જોખમ નહીં ઉઠાવે. 


સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મના ડાયરેક્ટર ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ વધુમાં કહ્યું કે, ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ અક્ષય કહેતો હતો કે, આવી ઐતિહાસિક કે વિષયવસ્તુવાળી ફિલ્મો કરવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ આ ઐતિહાસિક ફિલ્મ નહીં ચાલે તો દુઃખ થશે. જોકે અંગત રીતે મને કોઈ વાંધો નથી કારણ કે હું ફરી એકવાર મસાલા અને એક્શન ફિલ્મો કરવાનું શરૂ કરીશ. અક્ષયનો આ નિર્ણય તેના ફેન્સ માટે મોટા સમાચાર છે. તાજેતરના વર્ષોમાં, અક્ષયે તેની ખિલાડી કુમાર અથવા મનોરંજક છબીથી દૂર કામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેને ઘણી ફિલ્મોમાં સફળતા મળી પરંતુ સમ્રાટ પૃથ્વીરાજ તેની મહત્વકાંક્ષી ફિલ્મ હતી, જે તેની કારકિર્દીની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ છે.


અક્ષય કુમારની આગામી ફિલ્મોઃ
અક્ષય કુમારની (Akshay Kumar Upcoming Projects) આગામી ફિલ્મોની યાદીમાં ઘણાં નામોનો સમાવેશ થાય છે. અક્ષય ટૂંક સમયમાં જ આનંદ એલ રાયની ફિલ્મ 'રક્ષા બંધન'માં દેખાશે. આ ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડનેકર પણ દેખાશે. આ ફિલ્મ બાદ અક્ષય કુમારની લિસ્ટમાં 'રામ સેતુ' છે. આ સિવાય અક્ષય કુમાર, ઈમરાન હાશ્મી સાથે 'સેલ્ફી' નામની ફિલ્મમાં દેખાશે અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બડે 'મિયાં છોટે મિયાંમાં' પણ કામ કરશે.