એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર કેકે સિંહ અને પરિવાર દ્વારા સીએમ નીતિશ કુમારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો,ત્યારબાદ આ મામલાને લીલી ઝંડી મળી છે. સીએમ ઓફિસમાંથી મળેલી લીલી ઝંડી બાદ જ ખાસ પરિસ્થિતિઓમાં બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.
ખરેખરમાં, કાયદેસર રીતે એફઆઇઆર ત્યાં જ નોંધવામાં આવે છે, જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનો કે ઘટના ઘટી હોય. આવામાં સુશાંત આત્મહત્યા કેસ મુંબઇના બ્રાંદ્રા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. મુંબઇ પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. પરંતુ હવે ખાસ પરિસ્થિતિઓનો હવાલો આપતા સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા બિહારમાં આ મામલાને લઇને કેસ નોંધાવવામાં આવ્યો છે.
કેકે સિંહે 25 જુલાઇએ બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં તેમને રિયા ચક્રવર્તી સહિત આખા પરિવાર પર આરોપો લગાવ્યા છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત બ્રાંદ્રા વાળા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ સતત આ કેસમાં સીબીઆઇ તપાસની માંગ ઉઠી રહી છે.