પટનાઃ સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં પટનાથી મુંબઇ પહોંચેલા પટના એસપી વિનય તિવારીને બીએમસી દ્વારા જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરાયા હતા, હવે આ મામલે બિહારના DGPએ મોટુ પગલુ ભર્યુ છે, બિહાર DGPએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની વાત કહી છે.


જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરવાની ઘટનાની બિહાર DGP ગુપ્તેશ્વર પાંડેએ નિંદા કરી છે. તેમને તાત્કાલિક ધોરણે એક ખાસ બેઠક બોલાવી હતી, અને મુંબઇ પોલીસ સાથે ચાલી રહેલી તકરારને લઇને એક્શન લેવની વાત કહી હતી.

બિહાર DGPએ કહ્યું કે, મે મુંબઇ પોલીસને વાત કરી હતી, ત્રણ દિવસ માટે સહકાર આપવા અને તેમના રહેવા-જમવાની સગવડ કરવા માટે વાત કરી હતી. પરંતુ મુંબઇ પોલીસે વાત માની નહીં. તેમને સહકાર ના આપ્યો. હવે અત્યારે અમારા પટના એસપી વિનય તિવારીને જબરદસ્તીથી ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે, તેમને ક્વૉરન્ટાઇનનો સિક્કો લગાવી દીધો છે, આ કારણે તે પોતાનુ નિવેદન પણ નથી આપી શકતા. બહાર નીકળીને તપાસ પણ નથી કરી શકતા.



DGPએ કહ્યું, વિનય તિવારી હવે કોઇનુ નિવેદન નથી લઇ શકતા, આ એકપ્રકારનુ હાઉસ અરેસ્ટ કહી શકાય છે. અમે બીએમસીને એક પત્ર લખીને વાત કરી હતી. પરંતુ બીએમસી તરફથી અમને સકારાત્મક જવાબ નથી મળ્યો.

બિહાર DGP ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે હવે સવાલ એ થાય છે કે, કરવુ શું? અમે આ મામલે વધુ રાહ નથી જોવાના, અમે લોકો કોર્ટમાં પણ જઇ શકીએ છીએ. પરંતુ આજ સુધી રાહ જોયા બાદ નક્કી કરીશુ, અને પછી મહાધિવક્તાની મત લીધા બાદ આગળ એક્શન લઇશું.