Money Laundering Case : બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ સોમવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તેમના નિવેદનમાં નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે, ઠગ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં તેને 'બલિનો બકરો' બનાવવામાં આવી હતી અને આ કેસમાં સામેલ લોકો સાથે તેને કોઈ લેવાદેવા નથી. 


મોડલ અને ડાન્સર ફતેહીએ કહ્યું હતું કે, તેણે મને ગોલ્ડ ડિગર એટલે કે સોનું ખોદનાર કહી અને મારા પર ગુંડા (સુકેશ ચંદ્રશેખર) સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો. અને તેના પરથી ધ્યાન હટાવવા માટે ફોજદારી કેસમાં મારું નામ જોડી દેવામાં આવ્યું છે.


આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચંદ્રશેખર વિરુદ્ધ નોંધાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. ચંદ્રશેખર વિરુદ્ધ ખંડણીના કેસમાં નોરા ફતેહી અને ચાહત ખન્ના સાક્ષી છે અને દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ફતેહીએ મેજિસ્ટ્રેટ સમક્ષ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 164 હેઠળ પોતાનું નિવેદન નોંધ્યું હતું.


નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે, આ કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ પદ અને પ્રતિષ્ઠાને નુકશાન થયું છે. તેને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઉદભવી હતી. ફતેહીએ કહ્યું હતું કે, હું આ કેસ દાખલ કરી રહી છું કારણ કે, છેતરપિંડી કરનાર સુકેશ સાથે સંબંધિત ED કેસ ચાલી રહ્યો છે, જેની સાથે મારે કોઈ લેવાદેવા નથી અને હું આ લોકોને ઓળખતી પણ નથી. નોરાએ કહ્યું હતું કે, મને એ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રીત કરવામાં આવી હતી. કેટલાક લોકોની છબી બચાવવા માટે મને મીડિયામાં બલિનો બકરો બનાવવામાં આવી છે કારણ કે, હું આ દેશમાં બહારની અને એકલી છું.


અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, તે તેની કારકિર્દી અને પ્રતિષ્ઠાને થયેલા તમામ નુકસાન માટે વળતર ઇચ્છે છે, જે તેણે છેલ્લા આઠ વર્ષમાં કમાઈ છે. ગયા વર્ષે 12 ડિસેમ્બરે નોરા ફતેહીએ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં જેકલીન વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.


પોતાની અરજીમાં નોરા ફતેહીએ દાવો કર્યો હતો કે, તેના હરીફ કલાકારો અને મીડિયા સંગઠનો "એકબીજા સાથે મળીને કામ કરી રહ્યા છે". નોરા ફતેહીની અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, ફરિયાદીનું નાણાકીય, સામાજિક અને વ્યક્તિગત પતન સુનિશ્ચિત કરવા માટે આરોપી નંબર 1 (જેકલીન ફર્નાન્ડીઝ) દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો હતો.


https://t.me/abpasmitaofficial