નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસ દિવસ દિવસે વધુ ગૂંચવાતો જાય છે. મુંબઇ પોલીસ બાદ બિહાર પોલીસ અને હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટૉરેટ એટલે કે EDની એન્ટ્રી પણ થઇ ગઇ છે. ઇડીએ બિહાર પોલીસ પત્ર લખીને સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નોંધાયેલી એફઆઇઆરની કૉપી માંગી છે, એટલે હવે નક્કી છે કે કેસ પીએમએલએ અંતર્ગત નોંધાઇ શકે છે.


અધિકારીઓએ કહ્યું કે, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ સંદર્ભમાં બિહાર પોલીસને પત્ર લખ્યો છે. ઇડી નાણાંકીય ગોટાળો એટલે કે ધનશોધન રોકથામ કાયદો (પીએમએલએ) અંતર્ગત સભવિત તપાસ માટે કેસને જોઇ રહી છે.

અધિકારીઓ અનુસાર ઇડી સુશાંતના ધન અને તેના બેન્ક ખાતાના કથિત દુરપયોગના આરોપોની તપાસ કરવા માંગે છે. સુત્રો અનુસાર બિહાર પોલીસ એફઆઇઆરની કૉપી કેન્દ્રીય એજન્સીને સોંપી દીધી છે.



ઉલ્લેખનીય છે કે, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે 25 જુલાઇએ બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં જે એફઆઇઆર નોંધાવી છે, તેમાં તેમને રિયા ચક્રવર્તી સહિત આખા પરિવાર પર આરોપો લગાવ્યા છે. બિહારમાં નોંધાયેલી એફઆઇઆર નંબર 241/20 કેસમાં રિયા ચક્રવર્તી સહિત કુલ છ લોકોના નામ સામેલ છે. આ લોકો વિરુદ્ધ આઇપીસીની કલમ 340, 341, 342, 380, 406, 420 અને 306 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્ય વિરુદ્ધ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો છે.

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના મુંબઇ સ્થિત બ્રાંદ્રા વાળા ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ સતત આ કેસમાં સીબીઆઇ તપાસની માંગ ઉઠી રહી છે.