બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝને  મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case)માં  કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે અભિનેત્રીને અબુ ધાબી જવાની મંજૂરી આપી છે.  એક્ટ્રેસ  અબુ ધાબીમાં યોજાનાર આઈફા એવોર્ડ 2022માં સામેલ થઈ શકશે.  એક્ટ્રેસે આ અંગે કોર્ટ પાસેથી મંજૂરી લીધી છે.  જેમાં કહેવામાં આવ્યું છે કે તે 31 મેથી 6 જૂન સુધી અબુ ધાબીમાં રહેશે. આ પહેલા આ સમાચાર સામે આવ્યા હતા, જેમાં જેકલીને દિલ્હી કોર્ટમાં અરજી આપી હતી અને  15 દિવસ માટે અબુ ધાબી જવાની પરવાનગી માંગી હતી.  જેથી તે આઈફા એવોર્ડ 2022માં ભાગ લઈ શકે. આ સિવાય તેણે ફ્રાન્સ અને નેપાળ માટે પણ પરવાનગી માંગી હતી. જેકલીન ફર્નાન્ડીઝને હવે અબુ ધાબીમાં યોજાનાર IIFA એવોર્ડ 2022 માટે કોર્ટ દ્વારા  મંજૂરી આપવામાં આવી છે. જેકલીન 7 દિવસ માટે અબુ ધાબીના પ્રવાસે જશે.



એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝે વિદેશ પ્રવાસની પરવાનગી માગ્યાના એક સપ્તાહમાં જ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. થોડા દિવસ પહેલા આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે IIFA એવોર્ડ જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.  અબુ ધાબીના યસ આઈલેન્ડ પર 19 મેથી 21 મે દરમિયાન યોજાવાનો હતો. વાસ્તવમાં, આ પગલું UAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના મૃત્યુ અને ત્યારપછીના 40 દિવસના શોક પછી આવ્યું છે. જો કે હવે લાગે છે કે આ એવોર્ડ શો ટૂંક સમયમાં શરૂ થવાનો છે.


જેકલીન ફર્નાન્ડિઝ કોનમેન સુકેશ ચંદ્રશેખરની ધરપકડ બાદથી મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી છે અને તપાસમાં જેક્લીનનું નામ સામે આવતાં જ તેની વિરુદ્ધ સક્રિય 'લુક આઉટ સર્ક્યુલર' શરૂ કરવામાં આવ્યું હતું.  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અત્યાર સુધીમાં જેકલીન ફર્નાન્ડીઝની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ઠગ સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન પણ  રડાર પર છે. એજન્સીના અનુમાન મુજબ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને 5.71 કરોડ રૂપિયાની ભેટ આપી હતી.