મુંબઇઃ બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છોટે નવાબ નામથી જાણીતા એક્ટર સૈફ અલી ખાને હવે પોતાની જ ફિલ્મ પર સવાલો ઉઠાવ્યા છે. હાલમાં સૈફ અલી ખાન અને અજય દેવગનની ફિલ્મ 'તાનાજી' બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, રેકોર્ડ બ્રેક કલેક્શન કરી રહ્યું છે અને દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે સૈફ અલી ખાનનુ કહેવુ છે કે, ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે.


'તાનાજી- ધ અનસંગ વૉરિયર'માં સૈફ અલી ખાન ઉદયભાન રાઠોડની ભૂમિકા નિભાવી રહ્યો છે, જ્યારે અજય દેવગન તાનાજી માલુસરેની ભૂમિકામાં છે.

સૈફ અલી ખાને એક પત્રકાર સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, 'તાનાજી' ફિલ્મમાં ઇતિહાસને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે, મેકર્સ દ્વારા છેડછાડ કરાઇ છે. સૈફે કહ્યું કે, ફિલ્મમાં જે બતાવવામાં આવ્યુ છે તે ઇતિહાસ નથી અને આ સમાજ માટે ખતરનાક છે. હું કેટલાક કારણોસર સ્ટેન્ડ ના લઇ શક્યો, કેમકે હું ઉદયભાનની ભૂમિકા નિભાવવા માટે ખુબ ઉત્સાહિત હતો. જો લોકો એમ કહે કે આ ઇતિહાસ છે તો તે ખોટી વાત છે.



સૈફ અલી ખાને વધુમાં કહ્યું કે, 17મી સદીમાં મરાઠા યોદ્ધા સ્વરાજ માટે લડી રહ્યાં હતા, તે સમયે હું માનુ છુ કે અંગ્રેજોના આવ્યા પહેલા ભારત જેવો કોઇ કન્સેપ્ટ જ ન હતો.



સૈફે કહ્યું કે, આવી ફિલ્મો માત્ર કમાણી માટે હોય છે, એક એક્શન થ્રિલર હોય છે, પણ આવી ફિલ્મો બનાવવી સમાજ માટે વધુ ખતરનાક છે.