Sameer Wankhede Row: CBI આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની તપાસ કરી રહી છે. આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. એક તરફ સીબીઆઈએ એફઆઈઆરમાં સમીર વાનખેડે પર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને છોડાવવા માટે 25 કરોડની લાંચ માંગવાનો આરોપ લગાવ્યો છે. સમીર વાનખેડેએ આર્યન ખાનની રિલીઝના બદલામાં શાહરૂખ ખાન પાસેથી લાંચ લેવાનો ઇનકાર કર્યો છે. ત્યારે હવે આ મામલે એક નવો ફણગો ફૂટ્યો છે. 


હવે સમીર વાનખેડેની કથિત છેડતીની માંગ ચર્ચા જવાવી રહી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ સમીર વાનખેડે અને સ્વતંત્ર સાક્ષી એવા કેપી ગોસાવી સાથે 25 કરોડ રૂપિયાની લાંચની રકમ ઘટાડીને 18 કરોડ રૂપિયા કરવા માટે વાતચીત કરી હતી તેવો ખુલાસો કરવામાં આવ્યો છે.


રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ કથિત રીતે ડાઉન પેમેન્ટ તરીકે 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ 50 લાખ રૂપિયા ન તો શાહરૂખ ખાને આપ્યા હતા અને ન તો પૂજા દદલાની દ્વારા મેનેજ કરવામાં આવ્યા હતા. આ પૈસા પૂજા દદલાનીના નહોતા.


TOI અનુસાર, બોલિવૂડ સાથે નિકટતા માટે જાણીતા બાંદ્રાના રાજકારણીએ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની માટે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી. જો કે, કથિત લાંચના નાણાંની માંગણીના કોઈ પુરાવા નથી. પરંતુ આ રાજકારણી કોણ છે તેને લઈને અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આમ હવે આ મામલે કોઈ રાજકારણીની સંડોવણી હોવા તરફ ઈશારો થતા મામલો વધુ હાઈપ્રોફાઈલ બની ગયો છે. જોકે સમીર વાનખેડે આ કેસમાં કેટલી હદે સંડોવાયેલા છે તે પણ જાણી શકાયું નથી. 


CBIએ સમીર વાનખેડે પર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ખોટી રીતે ફસાવવાનો અને તેની પાસેથી 25 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. સમીર વાનખેડે સામે દાખલ કરાયેલા કેસમાં અનેક આરોપો અને વિચારવિમર્શ કરવામાં આવ્યા છે.


સમીર વાનખેડેએ CBI વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ પિટિશનમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાન સાથેની વાતચીતનો સ્ક્રીન શૉટ પણ પોતાના મેસેજ દ્વારા શેર કર્યો છે.