Shah Rukh Khan On Rishabh Pant: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ પઠાણના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેને લઈને અભિનેતા શાહરૂખ ખાને આજે ટ્વિટર પર #AskSRK સેશન શરૂ કર્યું.  #AskSRK હેશટેગ સાથે ચાહકોએ કિંગ ખાનને અનેક પ્રશ્નો પૂછ્યા હતાં. આ દરમિયાન એક યુઝરે શાહરૂખને ક્રિકેટર ઋષભ પંતના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવા કહ્યું. શાહરૂખ ખાને પણ કોઈ જ વિલંબ કર્યા વિના તુરંત જ તેનો જવાબ આપી દીધો હતો.


દર્શન શાહ નામના યુઝરે શાહરૂખને ટ્વિટર પર પૂછ્યું હતું કે, કૃપા કરીને ઋષભ પંત જલ્દી સાજો થાય તે માટે પ્રાર્થના કરો." જેના પર શાહરૂખ ખાને તુરંત જ વળતો જવાબ આપ્યો હતો કે-, ઈંશાઅલ્લાહ, તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે એક ફાઇટર અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે.


30 ડિસેમ્બરે થયો હતો પંતનો અકસ્માત 


ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 30 ડિસેમ્બરની રાત્રે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની કાર પલટી ખાઈ ગઈ હતી અને તેમાં આગ લાગી હતી. જોકે, પંતે હિંમત દાખવી હતી અને ત્યાં હાજર લોકોની મદદથી સમયસર કારમાંથી બહાર આવી ગયો હતો.
અકસ્માત બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પંતની હાલત પહેલાથી જ સુધાર પર છે અને હવે તેને આઈસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ હવે BCCIએ રિષભ પંતને દેહરાદૂનથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.


આ દરમિયાન શાહરૂખ ખાને પણ ઋષભ પંતને લઈને વાત કરી હતી. જ્યારે એક યુઝર્સે તેને ક્રિકેટર ઋષભ પંત જલ્દી સ્વસ્થ થઈ જાય તેને લઈને શુભકામનાઓ પાઠવવા અને પ્રાર્થના કરવા કહ્યું કે, તુરંત જ અભિનેતાએ લખ્યું હતું, "ઇન્શાઅલ્લાહ, તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે એક ફાઇટર અને મજબૂત વ્યક્તિ છે."


પંતને મુંબઈ શિફ્ટ કરવામાં આવશે


આ ઉપરાંત બીસીસીઆઈએ પંતને મુંબઈ શિફ્ટ કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરી લીધી છે. પંતને એર એમ્બ્યુલન્સમાં મુંબઈ લાવવામાં આવશે. તેને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવશે. તેને હોસ્પિટલના આર્થ્રોસ્કોપી અને શોલ્ડર સર્વિસના ડિરેક્ટર અને સ્પોર્ટ્સ મેડિસિન સેન્ટરના વડા ડૉ. દિનશા પારડીવાલાની સીધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે.


ડીડીસીએના ડિરેક્ટર શ્યામ શર્માએ અગાઉ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટરને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે. DDCA અધિકારીએ જણાવ્યું હતું કે, પંતની વધુ સારવારની કાળજી હવે BCCI દ્વારા લેવામાં આવશે. જય શાહ પોતે તેની સારવાર પર ચાંપતી નજર રાખશે. જો જરૂર પડશે તો બોર્ડ તેને યુકે પણ મોકલી શકે છે તેમ DDCAના અધિકારીએ જણાવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, શાહરૂખની પઠાણ ફિલ્મનું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે અને તે 25 જાન્યુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.