મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસને લઇને કંગના રનૌત ખુલીને બોલી રહી છે. કંગના રનૌત બૉલીવુડમાં રહેલા મૂવી માફિયાઓ પર ટ્વીટ પર સીધુ નિશાન તાકી રહી છે.સુશાંત કેસમાં ઇડી, એનસીબી અને સીબીઆઇની તપાસ દરમિયાન કંગનાએ મહારાષ્ટ્રની ઉદ્વવ સરકાર પર નિશાન સાધ્યુ છે. એક દિવસ પહેલા તેને શિવસેના નેતા સંજય રાઉત પર ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો, આના પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે.


શિવસેના સાંસદ સંજય રાઉતે ગુરુવારે કહ્યું કે, અભિનેત્રી કંગના રનૌતને ટ્વીટર પર નિવેદનબાજી કરવાની જગ્યાએ સબૂતોની સાથે પોલીસનો સંપર્ક કરવો જોઇએ, અને સાબિત કરવુ જોઇએ કે તેને (કંગનાને) ધમકી આપી છે. આના આગળના દિવસે કંગનાએ ટ્વીટર પર આરોપ લગાવ્યો કે રાજ્યસભા સભ્ય સંજય રાઉતે તેમને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે તેમને મુંબઇ પાછી ના આવવા કહ્યું હતુ.



સંજય રાઉતે પત્રકારો સાથે વાતચીત કરતા અભિનેત્રીનુ નામ લીધા વિના કહ્યું કે ટ્વીટર પર નિવેદનબાજી કર્યા વિના કોઇ સબૂતોની સાથે પોલીસ અને સરકારનો સંપર્ક કરવો જોઇએ. આ પહેલા કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું- શિવસેના નેતા સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને કહ્યું છે કે હું મુંબઇ પાછી ના આવુ. પહેલા મુંબઇના રસ્તાંઓ પર આઝાદીના નારા લાગ્યા અને હવે ખુલ્લી ધમકીઓ મળી રહી છે. આ મુંબઇ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની જેવુ કેમ લાગી રહ્યું છે?..