Vani Jayaram Dies: મશહૂર ગાયિકા અને  પદ્મ વિભૂષણથી સન્માનિત વાણી જયરામનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. 04 ફેબ્રુઆરીની સવારે વાણી તેમના ચેન્નઈસ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં.  રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગાયિકા વાણી જયરામનું 77 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચારથી મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચેન્નાઈ પોલીસે જણાવ્યું કે વાણી જયરામ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે.


મશહૂર ગાયિકા વાણી જયરામ ખાસ કરીને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ગાનારાં ભારતનાં સુપ્રસિદ્ધ ગાયિકા હતાં. તેમનો જન્મ 1945માં તમિલનાડુના વેલ્લોરમાં થયો હતો. તેમનું મૂળ નામ કલૈવાની હતું. વાણીએ પોતાની પાંચ દાયકામાં પથરાયેલી સુદીર્ઘ કારકિર્દીમાં 19 ભાષાઓમાં 10 હજારથી પણ વધુ ગીતો ગાયાં હતાં. તેમાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ગુજરાતી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી, તુલૂ અને ઉડિયા જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. 


થોડા સમય પહેલાં જ ભારત સરકારે 2023 માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી, તેમાં વાણી જયરામને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની ઘોષણા થઈ હતી. હવે તેમને મરણોપરાંત આ સન્માન આપવામાં આવશે. અગાઉ તેમને ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યાં હતાં. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં ગાયેલાં ગીતો માટે તેમને રાજ્યોના પણ અનેક પુરસ્કારો એનાયત થયા હતા.


સિંગર વાણી જયરામે સંગીતમય કારકિર્દીનાં પચાસ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. પોતાની આ સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે 10 હજારથી પણ વધુ ગીતો ગાયાં હતાં. તેમણે ઇલૈયારાજા, આર. ડી. બર્મન, મદન મોહન, ઓ.પી. નૈયર, કે.વી. મહાદેવન જેવા ધરખમ સંગીતકારો સાથે કામ કર્યું હતું. 


વાણી જયરામ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય નામ છે. તેમણે ફિલ્મ દજતના ઘણા મોટા સંગીતકારો સાથે કામ કર્યું અને ઘણા એવરગ્રીન ચાર્ટબસ્ટર ગીતો આપ્યા. તેમણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી, તુલુ અને ઉડિયા ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો. વાણી જયરામે દેશ અને વિશ્વમાં મોટા સ્તરે પ્રદર્શન કર્યું હતું. તેણીએ મહિલા પ્લેબેક સિંગર માટે ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનો ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત તેમને તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, ગુજરાત અને ઓડિશામાંથી રાજ્ય પુરસ્કારો પણ મળ્યા હતા.