મુંબઇઃ દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પિતાએ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સહિત તેના કેટલાક સાથીઓના નામ પણ એફઆઇઆરમાં નોંધાવ્યા છે. આ તમામ લોકો પર સુશાંત સામે કાવતરા કરવાનો આરોપ લગાવ્યો છે. સુશાંતના પિતા કેકે સિંહે એફઆઇઆરમાં રિયા ચક્રવર્તી સામે કેટલાય ગંભીર આરોપો લગાવ્યા છે.


સુશાંતના પિતા કેકે સિંહ દ્વારા 25 જુલાઇએ રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવાઇ ચૂકી છે, આમાં રિયા ચક્રવર્તી ઉપરાંત ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમુઅલ મિરિંડા, શ્રુતિ મોદી અને અન્યના નામ સામેલ છે. આ તમામ પર સુશાંતના પિતાએ સુશાંત સામે કાવતરા કરવા તેમજ છેતરપિંડી, બેઇમાની, બંધક બનાવીને રાખવા, અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપો લગાવ્યા છે.

સુશાંતના પિતાએ પોતાની અરજીમાં કહ્યું કે, આ કાવતરામાં રિયા અને તેના પરિવારજનો ઇન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તીએ મારા દીકરા સાથે ખુબ નજીકના સંબંધો બનાવી લીધા હતા, અને મારા દીકરાની દરેક વાતમાં હસ્તક્ષેપ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત મારો દીકરો જ્યાં રહેતો હતો, તે ઘર પણ છોડાવી દીધુ, કહ્યું કે અહીં ભૂત-પ્રેત છે.

બિહારના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆર બાદ રિયા ચક્રવર્તીએ કાયદેસરની મદદ લેવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કેસમાં પોલીસ રિયાની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે. રિયા ચક્રવર્તી ધરપકડથી બચવા માટેની તૈયારીઓમાં લાગી ગઇ છે. હવે એબીપી ન્યૂઝને માહિતી મળી છે કે રિયા આજે કોર્ટમાં પોતાના આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. ગઇ રાત્રે તેને જાણીતા વકીલ સતિશ માન શિંદેની જૂનિયર વકીલ રિયાના ઘરે પહોંચી હતી. જાણકારી અનુસાર રિયા ચક્રવર્તીએ વકીલને પોતાનો કન્સેન્ટ સાઇન કરીને આપ્યો છે, હવે આ મામલે તે કાયદેસરની મદદ લઇ શકે છે. એટલે કે ધરપકડથી બચવા રિયા જામીન અરજી કરી શકે છે.



જોકે, અધિકારીક રીતે આ બધુ બહાર નથી આવ્યુ કે રિયા ક્યારે અને કઇ કોર્ટમાં જામીન અરજી આપશે. વળી, બિહારતી 4 પોલીસ અધિકારીઓની ટીમ પણ મુંબઇ પહોંચી ગઇ છે. જે આ મામલે તપાસ કરશે. આજે બિહાર પોલીસ આ કેસમાં મુંબઇ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ મુખ્ય દસ્તાવેજો માંગી શકે છે.