The Kerala Story: ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કર્યા બાદ યુપીમાં પણ તેને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. જે બાદ હવે ફિલ્મની ટીમ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળવા જઈ રહી છે. આ મીટિંગમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ સીએમ યોગીનો આભાર માનવા ઉપરાંત ફિલ્મના મેકર્સ ફિલ્મની સ્ટોરી પર પણ ચર્ચા કરશે.


ટેક્સ ફ્રી કરીને ફિલ્મને આપ્યો ટેકો


કેરલા સ્ટોરીનો કેટલાક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે તો કેટલાક રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી બનાવીને સમર્થન આપવામાં આવી રહ્યું છે. જ્યાં એક તરફ પશ્ચિમ બંગાળમાં ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ તમિલનાડુના થિયેટર માલિકોએ ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશે પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરીને ટેકો આપ્યો છે.


સીએમ યોગી કેબિનેટ મંત્રીઓ સાથે ફિલ્મ કેરાલા સ્ટોરી જોશે


ધ કેરલા સ્ટોરીના સમર્થનમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ આખી કેબિનેટ સાથે ફિલ્મ જોવાની જાહેરાત કરી છે. આ સિવાય યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકો ફિલ્મ જોવા માંગે છે અને સમજવા માંગે છે કે અમારા ભાઈ-બહેનોએ કેવી રીતે સહન કર્યું છે. અમે ફિલ્મ જોઈશું. બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લોકોને પસંદ આવ્યો નથી.


શું છે વિવાદ?


તમને જણાવી દઈએ કે ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયા બાદ વિવાદ શરૂ થયો હતો. તેના ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરળમાંથી 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ હતી અને આતંકવાદી જૂથ ISISમાં જોડાઈ હતી. ઘણા રાજકારણીઓએ દાવાની સચ્ચાઈ પર સવાલ ઉઠાવતા ભારે રાજકીય ચર્ચા ચાલી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ ફિલ્મ ખોટો પ્રચાર કરે છે. વધતા વિવાદને જોતા પાછળથી ટ્રેલરમાં ફેરફાર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે આ ફિલ્મ ત્રણ મહિલાઓની વાર્તા પર આધારિત છે.


આ પછી કેરળ હાઈકોર્ટે કહ્યું કે આ ફિલ્મમાં મુસ્લિમ ધર્મ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી, બલ્કે ISISની વાર્તા બતાવવામાં આવી છે. વાસ્તવમાં આ ફિલ્મ એવી છોકરીઓની વાર્તા કહે છે જેઓ નર્સ બનવા માંગતી હતી પરંતુ ISISની આતંકી બની ગઈ. આ ફિલ્મને લઈને દેશભરમાં અનેક જગ્યાએ વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે ઘણી જગ્યાએ સમર્થન મળી રહ્યું છે. જેણે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.