મુંબઈ: સમગ્ર ભારત સહિત વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે ઘરથી બહાર નીકળવું ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાયરસને કંટ્રોલ કરવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકો પોતાના ઘરોમાં રહીને સાવધાની રાખી રહ્યા છે. જે સોસાયટીમાં કોરોના પોઝિટિવ દર્દી મળી રહ્યા છે તેને સીલ કરવામાં આવી રહી છે. તો આવું જ કંઈક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં બાધાનું પાત્ર ભજવનારા તન્મય વેકરિયા સાથે થયું છે. તન્મય વેકરિયાની સોસાયટીમાં 3 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે ત્યાર બાદ તમામ ઘરોને સીલ કરી દેવામાં આવ્યા છે.


તન્મય વેકરિયા કાંદીવલી વેસ્ટમાં રાજ આર્કેટ બિલ્ડિંગમાં રહે છે. એક ખાનગી વેબસાઈના જણાવ્યા પ્રમાણે, તન્મયની બિલ્ડીંગને BMCએ સીલ મારી દીધી છે. મંગળવારથી આ બિલ્ડીંગ 14 દિવસના ક્વોરન્ટાઈન પર છે.

તન્મયે જણાવ્યું હતું કે, જરૂરી સામાન માટે સિક્યોરિટી ગાર્ડ મદદ કરે છે. કોઈપણ સોસાયટીની બહાર જઈ શકતું નથી અને ના અંદર આવી શકે છે. જે ત્રણ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. આ ત્રણેય લોકોને સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કરારવામાં આવ્યાં છે. આશા કરું છું કે તેઓ જલ્દી સાજા થઈ જાય.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અંકિતા લોખંડે, સાક્ષી તન્વર, શિવિન નારંગ અને સુશાંત સિંહની બિલ્ડીંગને પણ સીલ કરવામાં આવી ચૂકી છે. અહીં કોરોના પોઝિટિવ વ્યક્તિ મળી આવતા સમગ્ર બિલ્ડીંગને સીલ કરી દેવામાં આવી હતી.