કોરોના વાયરસના ડરથી ઈન્ટરનેશનલ પૉપ સ્ટાર ખાલિદે ભારતનો પ્રવાસ સ્થગિત કર્યો, કહ્યું- સુરક્ષા જરૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Mar 2020 11:05 PM (IST)
ખાલિદ 12 એપ્રિલ 2020ના રોજ મુંબઈમાં પરફોર્મ કરવાના હતા. તેના બાદ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો.
મુંબઈ: દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ચીનથી ફેલાયેલા આ જીવલેણ કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. તેને લઈ ઈન્ટરનેશનલ પોપ સ્ટાર ખાલિદે પોતાનો એશિયા પ્રવાસ રદ્દ કરી દીધો છે. ખાલિદ એપ્રિલમાં પહેલીવાર ભારતમાં શો કરવાનો હતો. ખાલિદ 12 એપ્રિલ 2020ના રોજ મુંબઈમાં પરફોર્મ કરવાના હતા. તેના બાદ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં હાજર રહેવાનો હતો. ખાલિદ બુક માય શો અને એઈજી પ્રઝેટ્સના સહયોગથી ભારત આવવાનો હતો. તેમના ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અનેક એશિયાઈ દેશોમાં તાજેતરમાં એડવાઈઝરી અને યાત્રા પ્રતિબંધોના કારણે ખાલિદ પોતાના ભારતમાં યોજાનાર સંગીત કાર્યક્રમ સહિત એશિયાનો આગામી પ્રવાસ સ્થગિત કરી રહ્યાં છે.” સાથે કહેવામાં આવ્યું કે, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે કે ખાલિદના ચાહકો, તેમની ટીમ અને તમામની સુરક્ષા. તે સિવાય નવી તારીખ પણ જલ્દી જ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, તમામ ચાહકો જેણે ભારતમાં શોની ટિકિટ ખરીદી છે. તે ટિકિટ નવા શોની તારીખોમાં માન્ય રહેશે અથવા તો તે પૂર્ણ વાપસીના હકદાર રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓના કારણે શો રદ્દ કરવા બદલ દુખ વ્યક્ત કર્યું છે. ભારત સિવાય ‘ખાલિદ ફ્રી સ્પીરિટ વર્લ્ડ ટૂર’અંતર્ગત બેંકોક, સિંગાપુર, જકાર્તા, મનીલા, કુઆલાલંપુર, ટોક્યોમાં પરફોર્મ કરવાનો હતો. હવે સાવચેતીના ભાગરૂપે એશિયાનો પ્રવાસ સ્થગતિ કરવામાં આવ્યો છે.