નવી દિલ્હી: કોરોના વાયરસના ખતરા વચ્ચે ઈરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ ’ આજે ભારતના થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. પરંતુ કોરોના વાયરસના કહેરને જોતા ફિલ્મ નિર્માતાઓએ કેરળ, દિલ્હી અને જમ્મુમાં ફિલ્મને બાદમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોમાં સરકારે 31 માર્ચ સુધી સિનેમાઘરોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.  એવામાં ફિલ્મ આ સ્થળે રિલીઝ કરવામાં  આવી નથી.


ફિલ્મ નિર્માતા દિનેશ વિઝાને કહ્યું કે, “અંગ્રેજી મીડિયમના સફરને હું જીંદગીભર યાદ રાખીશ. ફિલ્મને ભારત સહિત દુબઈ તથા અન્ય આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં પ્રસંશા મળી છે. જો કે, અનપેક્ષિત પરિસ્થિતિઓને કારણે આ ફિલ્મ કેરળ, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં રિલીઝ નહીં થાય. યોગ્ય સમય આવવા પર આ જગ્યાએ રિલીઝ કરવામાં આવશે. ”



કોરોના વાયરસની અસર ભારતમાં પણ વધી રહી છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 81 થઈ છે. એવામાં કેરળ, જમ્મુ અને દિલ્હીમા સ્કૂલ-કૉલેજ સાથે સાથે થિયેટર્સ પણ 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.