કોરોનાનો વધતો ખતરો, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બાકીની બે વન-ડે મેચ રદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Mar 2020 06:42 PM (IST)
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બાકીની બે વન-ડે મેચ લખનઉ અને કોલકત્તામાં રમાવાની હતી.
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝની બાકીની બે મેચ રદ કરવામાં આવી છે. બીસીસીઆઇએ કોરોના વાયરસના વધતા ખતરાને જોતા આ નિર્ણય લીધો છે. આ જાણકારી બીસીસીઆઇના એક અધિકારીએ આપી છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બાકીની બે વન-ડે મેચ લખનઉ અને કોલકત્તામાં રમાવાની હતી. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચની વન-ડે સીરિઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. બીજી તરફ કોરોના વાયરસના ડરના કારણે સીરિઝની બાકીની બે મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બીસીસીઆઇએ કહ્યું હતું કે, સીરિઝની બાકીની મેચ દર્શકો વિના રમાડવામાં આવશે. વાસ્તવમાં રમતગમત મંત્રાલયે બીસીસીઆઇ સહિત અન્ય રાષ્ટ્રીય મહાસંઘોને કહ્યુ હતું કે, કોરોના વાયરસના ખતરાને જોતા જો દેશમાં કોઇ પણ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવે છે તો તેને બંધ દરવાજા વચ્ચે દર્શકો વિના યોજવી પડશે.