નવી દિલ્હીઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના દબંગ 3ના સેટ પર શૂટિંગ દરમિયાન શિવલિંગને લાકડાના ટેબલ નીચે રાખવાની ઘટનાથી વિવાદ ઉભો થયો છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. અહેવાલ અનુસાર, આ મામલે વિવાદ વધવા પર સલમાન ખાને ખુદ ખુલાસો કર્યો છે.


સલમાન હાલ મધ્ય પ્રદેશના મહેશ્વર ખાતે દબંગ-3નું શૂટિંગ કરી રહ્યો છે. સલમાન ખાને ખુલાસો કર્યો છે કે, શિવલિંગની સુરક્ષા અને પવિત્રતા જળવાય રહે તે માટે શૂટિંગ દરમિયાન તેના પર લાકડાનું ટેબલ મૂકવામાં આવ્યું હતું. મહેશ્વરમાં નર્મદા નદીના કાંઠે દબંગ-3નો સેટ તૈયાર કરવામાં આવ્યો છે.



હુઝુરના બીજેપીના ધારાસભ્ય રામેશ્વર શર્માએ એક નિવેદન આપતા કહ્યું કે, ગત વર્ષે ડિસેમ્બરમાં જ્યારથી કમલનાથના વડપણ હેઠળની કોંગ્રેસની સરકાર બની છે ત્યારથી હિન્દુઓની લાગણીઓને ઠેંસ પહોંચાડવામાં આવી રહ્યાના બનાવોમાં વધારો થયો છે. આ મામલાને તેમણે ભગવાન શિવનું અપમાન ગણાવીને જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી હતી.

આ મામલે વાતચીત કરતા રાજ્યના મીડિયા વિભાગના વડા શોભા ઓઝાએ જણાવ્યું હતું કે, ભાજપની વિચારસરણી સંકુચિત છે. અમારે શર્માના નિવેદનનો જવાબ આપવાની જરૂર નથી. પરંતુ ભાજપની સંકુચિત વિચારસરણીને કારણે છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં વિકાસના કામો થયા નથી.