નવી દિલ્હીઃ અજય દેવગનની ફિલ્મ દે દે પ્યાર દે 17 મેના રોજ રિલીઝ થવા જઈ રીહ છે. અજય હાલમાં પોતાના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે તબ્બૂ અને રકુલ પ્રીત સિંહ જોવા મળશે. પ્રમોશન દરમિયાન અજયે તમાકુ પ્રોડક્ટની એડ ન કરવા વિશે વાત કરી.


મીડિયા રિપોર્ટ મુજબ અજય દેવગનને થોડા દિવસ પહેલા એક કેંસર પીડિતે અપીલ કરી હતી કે તેઓ તમાકુના પ્રોડક્ટ્સનું પ્રમોશન ન કરે. આ દર્દી અજયનો મોટો ફેન છે. જોકે હવે આ વિશે અજયે વાત કરી સ્પષ્ટતા કરી કે તેઓ તમાકુ નહીં પરંતુ એલચીની જાહેરાત કરે છે.



અજયે કહ્યું કે તેઓ તેના કેંસર પીડિત ફેનના સંપર્કમાં છે. તેને કહ્યું કે તેના કોન્ટ્રેક્ટમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે, તેઓ તમાકુનો પ્રચાર નહીં કરે. અજયે કહ્યું કે, ‘મે હંમેશા કહ્યું છે કે હું તમાકુનો પ્રચાર નહીં કરું. જે જાહેરાત છે એ એલચીની છે. મારા કોન્ટ્રેક્ટમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આમાં કોઈ તમાકુ નહીં હોય. જો કંપની બીજી વસ્તુ પણ વેચી રહી છે તો મને નથી ખબર કે શું કરવું જોઇએ.’

ઉલ્લખનીય છે કે રાજસ્થાનના કેંસર પીડિત નાનાકર્મે(40) જાહેરમાં અજયને સમાજના હિતમાં તમાકુનો પ્રચાર ન કરવાની અપીલ કરી હતી. દર્દીના પરિવારે કહ્યું હતું કે તેઓ અજયનો પ્રશંસક છે અને અભિનેતા દ્વારા પ્રચાર કરવામાં આવેલ દરેક વસ્તુનો ઉપયોગ કરતો હતો. હવે તેને જાણ થઈ કે તમાકુથી પ્રતિકૂળ અસર પણ થાય છે.