નવી દિલ્હીઃ નોઇડામાં હેલ્મેટ વગર વાહન ચલાવવું મોંઘુ પડી શકે છે. કારણકે આવા લોકોને પેટ્રોલ નહીં આપવાનો નિર્ણય વહીવટી તંત્રએ કર્યો છે. રસ્તાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક પ્રયાસ હેઠળ ટુ વ્હિલર વાહનોને હેલ્મેટ વગર પેટ્રોલપંપ પર પેટ્રોલ નહીં મળે, જિલ્લા વહીવટી તંત્રએ 1 જુનથી આ નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે.


હેલ્મેટ પહેરવાને લઇને લોકોમાં 5 દિવસનું જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાનમાં રોડ અકસ્માત વિશે લોકોને જણાવવામાં આવશે અને હેલ્મેટ પહેરવાના ફાયદા વિશે માહિતગાર કરાવવામાં આવશે. જિલ્લાધિકારીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં થનાર મોતમાં સૌથી વધુ મોત હેલ્મેટ વિનાના લોકોના થાય છે.

આ નિયમ નોઇડા અને ગ્રેટર નોઇડા માટે લાગુ થઇ રહ્યો છે. જિલ્લાધિકારી બ્રજેશ નારાયણ સિંહે જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકો સાથે મંગળવારે એક બેઠક કરી અને બેઠકમાં નવા નિયમ વિશે તમામને માહિતગાર કરાવી દીધા. જિલ્લાધિકારીએ નિર્દેશ જાહેર કર્યા છે કે એક જૂનથી નવા નિયમનો કડક અમલ કરવાનો રહેશે.

ડીએમ બ્રજેશ નારાયણ સિંહે બેઠકમાં પેટ્રોલ પંપ સંચાલકોને કહ્યું કે તે પોત-પોતાના પેટ્રોલ પંપ પર સીસીટીવી કેમેરા જરૂર લગાવે. જેથી હેલ્મેટ પહેર્યા વગર પેટ્રોલ લેવા માટે આવનારા લોકોનો ફોટો લઇ શકાય અને વિવાદની સ્થિતિમાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજની મદદ લઇ શકાય.

મોટર વ્હિકલ અધિનિયમ હેઠળ ટૂ-વ્હીલર પર મુસાફરી કરતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવું એ આઇપીસી કલમ 188 હેઠળ એક ગુનો છે અને કલમનું ઉલ્લંઘન પર 6 મહિના સુધી કેદ થઇ શકે છે.