GANDHINAGAR : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી (Nayika Devi - The Warrior Queen)ને  ગુજરાત સરકારે  કરમુક્ત જાહેર કરી છે.  ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ અપાશે. ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. 


સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.






આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.   


અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ ચલચિત્ર પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહમદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરે છે.એટલું જ નહિ, આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન અને ધરોહરને જીવંત રાખતી આ ફિલ્મ છે. 


જાણો વીરાંગના નાયકી દેવી વિશે 
વીરાંગના નાયકી દેવીચાલુક્ય વંશના મહારાણી હતા, જેમણે વર્ષ 1178માં મહોમ્મદ ઘોરી ને પરાજીત કર્યો હતો.  વીરાંગના નાયકી દેવી કદંબ રાજ્ય (હાલનું ગોવા) ના મહામંડલેશ્વર પર્માંડી ના પુત્રી હતા. તેમનો વિવાહ ગુજરાતના મહારાજા અજયપાલ સાથે થયો હતો. મહારાજા અજયપાલ સિદ્ધરાજ જયસિંહના પૌત્ર તથા કુમારપાળના પુત્ર હતા. એક અંગરક્ષક દ્વારા વર્ષ 1176 માં અજયપાલની હત્યા પછી રાજ્યની સત્તાની કમાન નાયકી દેવીના હાથમાં આવી ગઈ હતી કારણ કે તે સમયે તેઓનો પુત્ર મુલરાજ બાળક હતો.