એક્ટ્રેસ કંગના રનૌતનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે. તેની સાથે જ તેણે ખુદને કોરેન્ટાઈન કરી લીધી છે. કંગનાએ એક દિવસ પહેલા જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો આજે રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. 






કંગના રનૌત છેલ્લા ઘણા સમયથી આક્રમક રીતે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દેશ-વિદેશના પ્રશ્નો પર પોતાના અભિપ્રાય ટ્વીટર પર શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 અંગે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જો કે આ ટ્વીટ બાદ તેનું અકાઉંટ સસ્પેંડ કરી દેવામાં આવ્યું હતું.


કંગનાનુ ટ્વિટર એકાઉન્ટ પણ ટ્વિટર દ્વારા કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાયુ છે. બંગાળમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવીને થઈ રહેલી હિંસા બાબતે કંગનાએ કહ્યુ હતુ કે, ભાજપે આસામ અને પોંડીચેરીમાં જીત મેળવી છે. પણ ત્યાંથી હિંસાની કોઈ ખબર નથી આવી. ટીએમસીના ચૂંટણી જીતવાની સાથે જ લોકો મરવા માંડયા છે. પણ તોય એવુ કહેવાશે કે મોદીજી તાનાશાહ છે અને મમતા સેક્યુલર નેતા છે.


એટલું જ નહીં કંગના સામે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતા ઋજુ દત્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કંગના પર રાજ્યમાં તોફાનો ભડકાવવાનો આરોપ મુકાયો છે. ટીએમસીના નેતાએ કહ્યુ છે કે, કંગનાએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે.


આ નેતાએ પોલિસ ફરિયાદની સાથે સાથે કંગનાએ બંગાળ હિંસા પર કરેલા એક પછી એક ટ્વિટના સ્ક્રીન શોટ પણ પોલીસ સાથે શેર કર્યા છે. આમ પોલીસ ફરિયાદ બાદ કંગનાની મુશ્કેલીઓ વધી શકે છે.