મુંબઈઃ શિવસેના અને કંગના રનૌત વચ્ચે તકરાર બહુ વધી ગઇ છે. બીએમસીએ કંગનાની પાલી હિલ સ્થિત ઓફિસને ગેરકાયદે બતાવીને તોડી પાડી હતી. આ મામલે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સીધે સીધી તકરાર થઇ છે. આ વિવાદ વચ્ચે અભિનેત્રી કંગના રનૌતે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ મુલાકાત દરમિયાન તેની ઓફિસમાં બીએમસીએ કરેલી તોડફોડની કાર્યવાહીને લઈ રાજ્યપાલ સામે પોતાનો પક્ષ રાખ્યો હતો.




કંગનાએ થોડા દિવસ પહેલા મુંબઈની સરખામણી પીઓકે સાથે કરી હતી. જે બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, શું તેનામાં અમદાવાદને મિની પાકિસ્તાન કહેવાની હિંમત છે ? આ બાદ તેની ઓફિસને બીએમસી દ્વારા તોડવામાં આવી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું, હાલ રાજનીતિ પર વાત નહીં કરવા માંગુ, પરંતુ આનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ કરાઇ રહી છે.