મુંબઈઃ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકના પોસ્ટરને લઈને હવે શબાના આઝમી મેકર્સ પર ભડકી છે. તેમણે કહ્યું કે, ફિલ્મ માટે પોસ્ટર પર ગીતકાર જાવેદ અખ્તરનું નામ જાણી જોઈને લખવામાં આવ્યું છે. આ વાત તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.


શબાના આઝમીએ કહ્યું કે, 'આ સંપૂર્ણ સ્પષ્ટ વાત છે કે, તેનાથી લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે અને તે માનવા પર મજબૂર કરવામાં આવે છે કે જાવેદ અખ્તરે શ્રીમાન PM નરેન્દ્ર મોદી માટે ગીત લખ્યુ છે જ્યારે ગીત 'ઇશ્વર અલ્લાહ તેરે જહાં મે..' દીપા મેહતાની ફિલ્મ 1974 અર્થથી લેવામાં આવ્યું છે. '

આ પહેલા જાવેદ અખ્તરે 'પીએમ નરેન્દ્ર મોદી'નું પોસ્ટર શેર કરીને આશ્ચર્ય જતાવ્યું હતું કે, તેમનું નામ ફિલ્મનાં ટ્રેલરની ક્રેડિટમાં કેમ છે જ્યારે તેઓ ફિલ્મનો ભાગ નથી. ત્યારે ફિલ્મનાં એક નિર્માતા સંદીપ એસ. સિંહે આ મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું હતું.