નવી દિલ્હી: દેશમાં લોકડાઉનના કારણે તમામ લોકો ઘરમાં છે. કેંદ્ર સરકારે એન્ટરટેનમેન્ટ માટે 80ની દશકની સૌથી પોપ્યૂલર સીરિયલ મહાભારતનું પ્રસારણ ફરી એક વખત શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે 'મહાભારત'નું પ્રસારણ ડીડી ભારતી પર કાલથી શરૂ કરવામાં આવશે.




પ્રકાશ જાવડેકરે જાહેરાત કરતા કહ્યું જનતાની માંગ પર શનિવાર 28 માર્ચથી મહાભારતનું પ્રસારણ ડીડી ભારતી પર શરૂ થશે. તેમણે કહ્યું પ્રસારણ દિવસમાં બે વખત બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.



ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી કહ્યું હતું કે, આવતી કાલથી દુરદર્શન પર 'રામાયણ' સવારે 9 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. નોંધનીય છે કે, રામાનંદ સાગરની 'રામાયણ'નું પ્રસારણ વર્ષ 1987માં થયું હતું. જેને લોકોએ જે તે સમયે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો. સમગ્ર દેશમાં લોકડાઉનના કારણે લોકો ઘરમાં છે ત્યારે હવે રામાયણ અને મહાભારત ટીવી પર ફરી વખત પ્રસારણ કરવામાં આવશે.