નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતા મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને સુરક્ષિત અનુભવવા માટે તમામ ઉપાયો કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંકટના આ સમયમા પોતાના ઓછો પગાર ધરાવતા કર્મચારીઓને મહિનામાં બે વખત સેલેરી આપવાની જાહેરાત કરી હતી. એરટેલ માર્ચનો પગાર અગાઉ જ આપી ચૂકી છે અને ટાટા સ્ટીલે કહ્યુ કે, તે સમય પર સેલેરી આપશે. હવે આઇટી કંપની કૉગ્નિજેન્ટે પોતાના કર્મચારીઓને 25 ટકા વધુ પગાર આપવાનો નિર્ણય કર્યો છે.


આઇટી કંપની કૉગ્નિજેન્ટ ભારતમાં પોતાના અસોસિએટ અને તેનાથી નીચલા સ્તરના કર્મચારીઓને એપ્રિલમાં 25 ટકા વધારે પગાર આપશે. કંપનીએ શુક્વારે કહ્યું કે, કોરોના વાયરસના સંકટ વચ્ચે તેમની સેવાઓ ચાલુ રાખવા માટે અસાધારણ કામ કરવા બદલ આ સેલેરી આપવામાં આવશે. તેમના બેઝિક પે પરથી નક્કી કરવામાં આવશે કે તેમને કેટલી એકસ્ટ્રા સેલેરી અપાશે. કંપનીના આ નિર્ણયથી દેશમાં તેના 1,30,000 કર્મચારીઓને લાભ થશે.