મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની તબીયત એકવાર ફરી લથડી છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઋષિ કપૂરને વાયરલ ફીવર હોવાથી મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગત અઠવાડિયામાં જ તેમને દિલ્હીની એક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.


ઋષિ કપૂરના પરિવારના એક નજીકના સૂત્રએ ગુરુવારે જણાવ્યું કે 67 વર્ષીય એભિનેતાને સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દિવસે જ અભિનેતાએ ટ્વિટર પર કહ્યું હતું કે, તેઓ ઘરે પરત આવી ગયા છે અને તેમની તબીયત સારી છે.

ઋષિ કપૂર એક વર્ષ સુધી અમેરિકામાં કેન્સરની સારવાર કરાવ્યા બાદ ગત સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યા હતા. ઋષિ કપૂરને 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી. બાદમાં ઋષિ કપૂર પત્ની તથી દીકરા સાથે સારવાર માટે ન્યૂ યોર્ક ગયા હતા. ન્યૂ યોર્કમાં તેઓ 11 મહિના સુધી રહ્યાં હતાં.

ઋષિ કપૂરે ટ્વીટ કર્યું હતું કે, ‘પ્રિય પરિજનો, મિત્રો, દુશ્મનો અને શુભચિંતકો, મારા સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતાથી અભિભૂત છું. આભાર.... હું છેલ્લા 18 દિવસથી દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યો હતો અને પ્રદુષણના કારણે ન્યૂટ્રોફિલ ઘટી ગયું હતું. મને સંક્રામણ થઈ ગયું હતું. જેના કારણે હોસિપ્ટલમાં દાખલ થવું પડ્યું હતું.’