નવી દિલ્હીઃ કાશ્મીર ખીણમાં 2 આતંકવાદીઓની સાથે ધરપકડ કરવામાં આવેલ ડીએસપી દવિંદર સિંહ પર કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસે દવિંદર સિંહની પુલવામાં હુમલામાં ભૂમિકાને લઈને ગંભીર સવાલ ઉભા કર્યા છે. ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ સિમી ગ્રેવાલે ટ્વીટ કર્યું છે, જેના પર વિવાદ ઉભો થયો છે.


સિમી ગ્રેવાલે ટ્વીટ કરીને લખ્યું, ‘આતંકવાદીઓને દિલ્હી લાઓ. ગણતંત્ર દિવસ પર બોમ્બ બ્લાસ્ટ. અનેકના મોત. મુસલમાનોને દોષી ગણાવવા અને નિશાન બનાવવા. શું આ જ સ્ક્રીપ્ટ હતી?'


દિલ્હીમાં પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે શનિવારે પોલીસ અધિકારીઓની સાથે એક બેઠક કરી હતી આ દરમિયાન તેમણે ગણતંત્ર દિવસથી પહેલા સંબંધિત અધિકારી ક્ષેત્રમાં આતંકી ગતિવિધિઓ વિરુદ્ધ થનારા પ્રયાસની જાણકારી લીધી હતી.


જોકે, રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરી પહેલા 3 આતંકી પકડાઇ ગયા છે. જે બાદ દિલ્હી પોલીસ એલર્ટ પર છે. જાણકારી અનુસાર આઇએસઆઇએસના 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી કે પકડાઇ ગયેલા આરોપી તમિલનાડુથી ફરાર હતા.


આ મામલે સિમીએ ટ્વિટ કરી હતી. તેમના નિવેદનને વ્યંગ તરીકે જોવામાં આવી રહ્યું છે અને આ નિવેદનને ધ્યાનમાં રાખીને તેની ટીકા કરવામાં આવી રહી છે. લોકોએ તેની પર કોમેન્ટ કરી છે. સિમી ટીકાનો જવાબ આપતા કહ્યું તેમના પરિવારની ત્રણ પેઢીઓ દેશને સમર્પિત રહી છે. તે દરેક આર્મી ઓફીસર રહ્યા છે. તેમણે બહાદુરીથી દેશની સેવા કરી છે.