નવી દિલ્હી: બોલિવૂડ સિંગર કનિકા કપૂરનો કોરોના વાયરસનો પાંચમો ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. આ રિપોર્ટ બાદ તેના પરિવારે અને ફેન્સે રાહતના શ્વાસ લીધા છે. જો કે, કનિકા હજુ થોડોક સમય હોસ્પિટલમાં જ રહેશે.


કનિકા છેલ્લા લાંબા સમયથી કોરોનાથી સંક્રમિત હતી. થોડા સમય પહેલા કનિકા કપૂરનો ચોથો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. કનિકા હાલમાં લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર લઈ રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ડૉક્ટર સંક્રમણની પુષ્ટિ માટે ફરી કનિકાનો કોરોના ટેસ્ટ કરશે. ડૉક્ટર્સ અનુસાર તેના સ્વાસ્થ્યમાં છેલ્લા કેટલાક સમયથી સતત સુધારો આવી રહ્યો છે.

તમને જણાવીએ કે, બોલિવૂડ સિંગર 9 માર્ચના રોજ લંડનથી મુંબઈ પરત ફરી હતી, તેના બે દિવસ બાદ તે લખનઉ ગઈ અને ત્યાં અનેક પાર્ટીઓમાં સામેલ થઈ હતી.

કનિકાએ પોતાનો રિપોર્ટ પોઝિટીવ આવવાની વાતનો ખુલાસો ઈન્સ્ટાગ્રામ પર કર્યો હતો. ત્યાર બાદ દરેક જગ્યાએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું હતું કે તેણે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હતી.

કનિકા કપૂરની બેદરદારીને લઇને યૂપીમાં તેની વિરૂદ્ધ એફઆઈઆર પણ નોંધાઈ છે. કનિકા કપૂર પર કોરોના વાયરસને લઈને બેદરકારી રાખવા માટે યૂપીમાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.