મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ પાંચ દિવસની તપાસ કરી ચૂક્યું છે. આ પાંચ દિવસ દરમિયાન જે શખ્સનો રોલ સૌથી વધુ શંકાસ્પદ સામે આવ્યો તે છે સિદ્ધાર્થ પિઠાની. સિદ્ધાર્થએ વ્યક્તિ છે જેણે તાળુ તોડનારને બોલાવી સુશાંતના રૂમનું તાળુ તોડાવ્યું હતું અને રૂમ ખોલાવ્યા વગર તેને બહાર મોકલી દિધો હતો. બાદમાં સુશાંતની બોડીને ફાંસીના ફંદા પરથી નીચે ઉતારનાર વ્યક્તિ પણ સિદ્ધાર્થ જ હતો. એટલું જ નહી સિદ્ધાર્થ પિઠાનીની ભૂમિકાને લઈને પરિવાર પણ ગંભીર સવાર ઉભા કરી રહ્યું છે અને સુશાંતના મોતમાં આરોપી તરીકે તપાસ કરવાની માંગ કરી રહ્યું છે.


સિદ્ધાર્થ પિઠાની એ વ્યક્તિ છે જેને સીબીઆઈ છેલ્લા 4 દિવસથી દરરોજ તપાસ માટે બોલાવી રહ્યું છે. સીબીઆઈ અત્યાર સુધીમાં સિદ્ધાર્થી પિઠાનીની 40 કલાકથી વધુ પૂછપરછ કરી ચૂક્યું છે, કારણ કે સિદ્ધાર્થ જ સુશાંતના મોત મામલે અત્યાર સુધી સામે આવેલી તપાસમાં સૌથી વધુ શંકાસ્પદ વ્યક્તિ તરીકે સામે આવ્યો છે.

સીબીઆઈ સિદ્ધાર્થને એક બાદ એક ઘણા સવાલો પૂછી ચૂક્યું છે અને સિદ્ધાર્થના જે જવાબ છે તેનાથી સંપૂર્ણ રીતે સંતુષ્ટ નથી. સીબીઆઈએ સિદ્ધાર્થને તાળુ તોડવાથી લઈને સુશાંતની ડેડ બોડી ફાંસીના ફંદા પરથી ઉતારવા સુધી ઘણા સવાલો પૂછ્યા છે અને સિદ્ધાર્થના આ જવાબોને ઘરમાં હાજર અન્ય લોકોના જવાબ સાથે મેળવવામાં આવ્યા છે.

સીબીઆઈએ સિદ્ધાર્થની પાસે સુશાંત અને રિયાના સંબંધોને લઈને પણ ઘણા સવાલોના જવાબો માંગ્યા છે. એટલું જ નહી સીબીઆઈએ સિદ્ધાર્થ પિઠાનીને સુશાંતના સ્વભાવ અને તેની નાણાકીય લેવડ-દેવડ સાથે જોડાયેલા ઘણા સવાલો પૂછ્યા છે.

સિદ્ધાર્થનું તપાસ એજન્સીને આપવામાં આવેલું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં સિદ્ધાર્થે જણાવ્યું છે કે કઈ રીતે સુશાંત અને રિયાના સંબંધો ચાલતા હતા. આ સાથે જ સિદ્ધાર્થે સુશાંતના કામ અને નાણાકિય પરિસ્થિતિને લઈને પણ જાણકારી આપી છે અને એ જણાવવાની કોશિશ કરી છે કે સુશાંત આર્થિક રીતે પણ મુશ્કેલીમાં હતો.

સિદ્ધાર્થ પિઠાની સિવાય સીબીઆઈ આ મામલામાં ઘરમાં કામ કરતા નોકર નીરજ, કુક કેશવ અને દીપેશની પણ સતત પૂછપરછ કરી રહ્યું છે. પરંતુ હાલ સિદ્ધાર્થ પિઠાનીએ જે જાણકારી સીબીઆઈ સામે રાખી છે તેને સીબીઆઈ સૌથી વધુ ગંભીરતાથી જોઈ રહ્યું છે.

સુશાંતના પરિવાર તરફથી પટનામાં પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ સિદ્ધાર્થે રિયાને મેઈલ કરી તેના પર દબાણ હોવાની વાત કરી હતી. રિયાએ આ મેઈલનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કર્યો હતો. એક તરફ સિદ્ધાર્થ સુશાંતના પરિવાર સાથે હોવાની વાત કરે છે તો બીજી તરફ રિયા સાથે પણ સતત સંપર્કમાં રહ્યો છે.

સીબીઆઈ એ ડૉક્ટરોની પણ પૂછપરછ કરી રહ્યું છે જેમણે સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. કારણ કે સુશાંતની બોડીના પોસ્ટમોર્ટમ બાદ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થયો હતો પરિવારે તેના પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ પોસ્ટમોર્ટ રિપોર્ટમાં સુશાંતના મોતના સમયનો ઉલ્લેખ જ નહોતો. સીબીઆઈ ડૉક્ટરો પાસે આ મામલે વધુ જાણકારી મેળવવા માંગે છે.

નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઇના પોતાના બ્રાન્દ્રા સ્થિત ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા બાદ કેટલાક લોકો આને હત્યા ગણાવી રહ્યાં છે, આ કારણે આ કેસ હાલ સીબીઆઇના હાથમાં છે, અને તપાસ ચાલુ છે.