સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી બોલિવૂડ સહિત સમગ્ર દેશ આઘાતમાં છે. એટલું જ નહીં વિદેશમાં પણ સુશાંત સિંહના ચાહકો તેને મિસ કરી રહ્યાં છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ તેના પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો જ્યારે ઘણાં લોકોએ કહ્યું કે, સુશાંતને જ્યારે જરૂરિયાત હતી ત્યારે બોલિવૂડે તેની કોઈ મદદ કરી નહીં. સોશિયલ મીડિયા પર લોકોએ સ્ટાર કિડ કરણ જોહર, સલમાન ખાન સહિત ઘણાં લોકોને સુશાંત સિંહના મોતના જવાબદાર ઠેરવ્યા હતાં.


દિવંગત સુશાંત સિંહના ચાહકોએ સોશિયલ મીડિયા પર હેશટેગ જસ્ટિસ ફોર સુશાંત સિંહ રાજપુત પર ટ્રેંડ પણ કરાવ્યું. હવે સલમાન ખાને ટ્વિટર પર પોતાના ચાહકોને કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપુતનાચાહકોને સમર્થન કરો. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, હું પોતાના તમામ ચાહકોને અપીલ કરું છું કે, તેઓ સુશાંતના ચાહકોની સાથે ઉભા રહો અને ખોટી ભાષાનો ઉપયોગ ના કરો. ભાવનાઓને સમજવાની કોશિશ કરો. આ સંકટ સમયમાં સુશાંતના પરિવારનો સહારો બનો. કોઈ આપણું જતું રહેવાથી બહુ જ દુખ થાય છે.

તમને જણાવીએ દઈએ કે, સુશાંત સિંહ રાજપુતના મોતને લઈને સલમાન ખાનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સલમાન ખાનની આ પ્રતિક્રિયા બાદ લગભગ સોશિયલ મીડિયા પર લોકો તેને બહુ ઓછો ટાર્ગેટ કરશે. થોડા દિવસ પહેલાં જ મુંબઈના બાંદ્રા સ્થિત સલમાન ખાનના બીઈંગ હ્યુમન સ્ટોરની સામે સુશાંત સિંહ રાજપુતના ચાહકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિરોધ પ્રદર્શન કરનાર લોકોએ સ્ટોર પર લગાવવામાં આવેલ સલમાન ખાનના પોસ્ટરને ફાડવાનું પણ કહ્યું હતું અને તેમણે સલમાન ખાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતાં.