અમદાવાદ: કોરોના મહામારીના પગલે આ વર્ષે શહેરમાં ભગવાન જગન્નાથની 143મીં રથયાત્રા નહીં નીકળે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવી દીધી છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા આ વખતે તૂટશે. ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે.


સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનને ધ્યાને રાખીને હાઇકોર્ટે નોંધ્યુ કે, અમદાવાદમાં કોરોનાના કુલ 18 હજારથી પણ વધુ કેસ છે. એવામાં રથયાત્રા યોજવી હિતાવહ નથી. જો કે, આ પહેલા મુખ્યમંત્રી ગૃહરાજ્યમંત્રી અને ગૃહમંત્રાલયના અધિકારીઓએ રથયાત્રાને લઇને લાંબુ મંથન કર્યુ, પણ એ પણ એટલી જ વાસ્તવિકતા છે કે સરકાર રથયાત્રાને અનુમતિ આપી કોરોનાના સંક્રમણને લઇને કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતી નથી. આ પહેલા સુપ્રિમ કોર્ટે પુરીની રથયાત્રા પર રોક લગાવી છે.

ઉલ્લેખનીય છે કે, જે રૂટ પર ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળે છે તે રૂટ પર 25 ટકા કંટેઇનમેન્ટ ઝોન છે. આ સંજોગોમાં રથયાત્રાને મંજૂરી આપવી ખતરનાક સાબિત થઇ શકે.  અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાગ્રસ્ત સુરતમાં પણ રથયાત્રાને અનુમતિ અપાઇ નથી. સુરતમાં 5 પૈકી એક પણ સ્થાને આ વર્ષે રથયાત્રા નહીં યોજાઇ. ભક્તોના પ્રવેશ પ્રતિબંધ સાથે મંદિર પરિસરમાં જ ભગવાનની યાત્રા કરાશે.

અમદાવાદમાં હાલ કોરોના વાયરસના કેસ 18 હજારથી વધુ છે, જેમાંથી 3500 જેટલા એક્ટિવ કેસ છે.